સોમાલિયા બંદરેથી દુબઇ જવા નીકળેલા માંડવીના જહાજની મધદરિયે સમાધિ
આખરની સિઝન પૂરી થઇ છે, ત્યારે બપોરે સોમાલિયાથી દુબઇ જવા માટે સાગર પ્રવાસ ખેડી રહેલું અહીંનું વહાણ અકસ્માતે આગમાં લપેટાઇ જવાની અમંગળ ઘટનાથી સાગરખેડૂઓ ચિંતાતૂર બન્યા હતા. સદ્ભાગ્યે વહાણમાં સવાર તમામ 16 ખલાસીને ઉગારી લેવાતાં હાશકારો અનુભવાયો હતો. કચ્છી વહાણવટી એસોસિયેશનના પ્રમુખ હાજી ઇશા સિધિક થૈમ (પટાંશેઠ), સેક્રેટરી અસલમભાઇ આગરિયા અને સી.એસ.ઓ. આદમભાઇ ધોબીએ આપેલી જાણકારી પ્રમાણે અત્રેની હાજી એન્ડ સન્સ કંપનીની માલિકીનું 1200 ટનની ક્ષમતાવાળું ફઝલે રબ્બી વહાણ રજિ. નં. એમ.એસ.વી. 2192વાળાથી નોંધાયેલું છે. સદરહુ માલવાહક જહાજ (29મીએ) બારેક વાગ્યે કિસ્માયુ (સોમાલિયા) બંદરેથી દુબઇ જવા હંકારાયું હતું.
આ દરમ્યાન કિસ્માયુથી માત્ર આઠ નોટિકલ માઇલ પહોંચ્યું, ત્યારે વહાણના એન્જિનમાં અકસ્માતે ટર્બો ફાટતાં વિકરાળ આગની લપેટમાં આવી ગયું હતું. અત્યંત ચિંતાતૂર પરિસ્થિતિમાંથી વહાણને ઉગારવા પ્રયાસો નાકામિયાબ નીવડયા હતા. જીવ બચાવવા માટે ખાલાસીઓ દરિયામાં કૂદી પડયા. સદ્નસીબે તેઓને એમ.એન.વી. 2031વાળું નઅલ ફઝલથ વહારે આવ્યું અને તમામ દરિયાખેડૂઓને ઉગારી લેવાયા હતા.
જો કે, આગની ભયાનકતાને પરિણામે હતભાગી વહાણ પૂર્ણત: નાશ પામ્યું હતું. ખલાસીઓ સંપૂર્ણ રીતે સલામત હોવાની જાણકારી અપાઇ હતી. બચી ગયેલા તમામ 16 સાગરખેડૂમાં ટંડેલ રજબઅલી હુસેન આગરિયા, ક્રૂ મેમ્બરોમાં અબ્દુલ મજીદ નોડે, આરીફ ઇસ્માઇલ કટિયાર, ફિરોઝ હનીફ સોઢા, કિશોરચંદ્ર ગોવિંદ ખાડઇવાલા, મહમદ અમીન યુનુસ થૈમ, મજીદ રઝાદ સિદી, મામદ અબ્દુલ ભટ્ટી, મામદ સુલેમાન લુહાર, મુસ્તાક અબ્દુલસતાર સમા, સલીમ આદમ આગરિયા, સમીર ઇલિયાસ ભોલીમ, શૌકતહુસેન કાસમ જુસબાણી, સાહીદ હારુન રુમી, શકીલઅહમદ અ. મજીદ અને કયૂમ નૂરમામદભાઇ પંજાબીનો સમાવેશ થાય છે.
