રાજકોટની કંપનીએ કચ્છના મુન્દ્રાના વેપારી સાથે 11.55 લાખની ઠગાઈ આચરી
મુંદરા તાલુકાના નાના કપાયામાં ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા યુવાન વેપારીએ રાજકોટની એચ.ઓ.સી.એલ. કંપનીમાંથી ગત વર્ષે 51 મોબાઈલ મગાવ્યા હતા, જે પેટે રૂૂા. 11,55,000 એડવાન્સ આપ્યા હતા, પરંતુ કંપનીના સંચાલકો દ્વારા નાણાં કે મોબાઈલ ન આપતાં અંતે આ મામલે મુંદરા પોલીસ મથકે કંપનીના સેલ્સ મેનેજર અભિનવ રાજેશભાઈ હુંબલ, ગુજરાતના જનરલ મેનેજર ધવલભાઈ સંઘવી અને રાજેશભાઈ મૂળુભાઈ હુંબલ વિરુદ્ધ ફોજદારી નોંધાઈ હતી.
પોલીસે આપેલી વિગતો મુજબ, બારોઈ રોડ પર રાજલ કલેક્શન નામની ઈલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા શામજીભાઈ નવગાભાઈ રાજપૂતે રાજકોટની એચઓસીએલ કંપની (હરિઓમ કોમ્યુનિકેશન એલ.એલ.પી.)માંથી ગત એપ્રિલ-2024ના વન પ્લસ સીઈ 4 લાઈટ મોડેલના 51 મોબાઈલ મગાવ્યા હતા, જે પેટે કંપનીના સેલ્સ મેનેજર અભિનવ હુંબલ અને ગુજરાતના જનરલ મેનેજર ધવલભાઈ સંઘવીને એડવાન્સમાં રૂૂા. 11.55 લાખ બેંક મારફતે ચુકવ્યા હતા.
નાણાં મેળવ્યા બાદ પણ બંને આરોપીએ મોબાઈલ કે અપાયેલાં નાણાં પરત આપ્યા નહોતા. આ મામલે વારંવાર કહ્યા છતાં નિરાકરણ ન આવતાં ફરિયાદીએ અભિનવના પિતા રાજેશભાઈ હુંબલને વાત કરતાં તેમણે નાણાં પરત મળી જવાની ધરપત આપી હતી, જેને લાંબો સમય વીતી જતાં ફરીવાર આ બાબતે જાણ કરતાં ઉશ્કેરાયેલા રાજેશભાઈએ નાણાં નહીં મળે અને અભિનવને ફોન ન કરજે, નહીં તો ત્યાં આવીને પતાવી નાખવાની ધમકી આપી હતી.
કંપનીના સંચાલકોએ
નાણાં લીધા બાદ ઓર્ડર કે પૈસા પરત ન આપતાં અંતે આ મુદ્દે ફરિયાદીએ મુંદરા પોલીસ મથકે છેતરપીંડીનો ગુનો દાખલ કરાવ્યો હતો. મુંદરા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.