કચ્છમાં માત્ર ગરીબોના દબાણો તોડવા જ નોટિસ, ભૂમાફિયાઓને છાવરવામાં આવે છે
સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો તોડવા સરકારની નીતિ સામે ભાજપના ધારાસભ્ય દ્વારા વિરોધ કરીને પત્ર લખાયો છે. કચ્છમાં ચાલી રહેલા સરકારી જગ્યા પરના ગેરકદેસર દબાણો તોડવા સામે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખ્યો છે.
ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છમાં સરકારી જગ્યા પરના દબાણો કાચા અને ગરીબ વર્ગ દ્વારા કરવામાં આવ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ દબાણો તોડવા અંગે સરકારે નોટિસ આપી છે, એ નોટિસ પાછી ખેંચવા અને દબાણો ન તોડવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે, ગરીબ લોકોના બદલે સરકારી જમીન પર ગુંડાઓ અને ભુમાફિયાએ કરેલા દબાણો દુર કરવામાં આવે. ખનીજ માફિયાઓએ કરેલા જમીન પર દબાણો સરકાર દૂર કરે. કેટલાક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે ગરીબ લોકોના દબાણો હટાવવા પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓ કરવાના કામ કરતા નથી અને ન કરવાના કામો કરે છે. અધિકારીઓ કેટલા સાચા છે અને કેટલા ખોટા તે હું જાણું છું.
ધારસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પત્રમાં લખ્યું કે, સરકાર દ્વારા મારા વિસ્તારમાં દબાણો હટાવવાની જે નોટીસો આપેલ છે તેમાં સરકારી જમીનો પર નાના ગરીબ માણસો જેઓના ઇઙક માં નામ નથી આવ્યા તેવા નાના લોકો કાચા-પાકા મકાનો કે ઝુંપડાઓ બનાવીને રહે છે તેમજ અમુક માલધારીઓ જે પશુઓ માટે વડીલોપાર્જિત વાડાઓ ધરાવે છે તે પશુપાલકો અને અમુક લોકો નાની મોટી કેબીન, ચાની લારી કે હોટેલ, લોજ વગેરે કરીને માંડ માંડ ધંધો રોજગારી મેળવી રહ્યા છે તે હકીકત છે. વિસ્તારમાં કોઈ રોડ-રસ્તા, આરોગ્ય વિષયક, શૈક્ષણિક હેતુ વગેરે માટે કોઈ જમીનોનો ઉપયોગ કરવાનો નથી કે કોઈ વિકાસનું કામ કે કોઈ ડેવલપમેન્ટ કરવાનું કોઈ આયોજન નથી અને કોઈને કંઈ અડચણરૂૂપ પણ નથી તેવા ગરીબ અને નાના લોકોના દબાણો હટાવવાનું કોઈ કારણ રહેતું નથી.
તદુપરાંત વિશેષમાં જણાવવાનું કે જે મોટા ગુનેગારો છે અને પ્રજા તેમનાંથી ત્રસ્ત છે તેવા ગુનેગારોનું દબાણ હટાવવું વાજબી છે, મોટા ખનીજચોરો છે તેઓની ખનીજયોરી બંદ કરાવવા અમો દ્વારા અવારનવાર રજુઆતો કરવામાં આવે છે તે બંદ કરાવો અને જ્યાં મોટા મોટા બિલ્ડરો અને ભુમાફીયાઓએ બિલ્ડીગો બનાવીને દબાણો કર્યા છે તે જમીનો ખુલી કરાવવી જરૂૂરી છે તેમજ મોટા મોટા ઉદ્યોગોએ અને ખુદ ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમજ ફોરેસ્ટની જમીનમાં પણ ઉદ્યોગો દ્વારા મોટાપાયે દબાણ કરવામાં આવી રહ્યું છે તે ખુલ્લું કરાવવું જોઈએ.!
ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને રાખીને તેમજ સ્થાનિક ગામડાઓની પરિસ્થિતિ જાણીને મનોમંથન કરીને તેમજ નાના માણસોની રોજીરોટી સામે જોઇ માનવીય અભિગમ દાખવીને મારા અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાઓમાં તાત્કાલિક અસરથી હાલ પુરતી દબાણ હટાવો ઝુંબેશ મુલત્વી રાખવા નમ્ર વિનંતીસહ ખાસ રજુઆત છે.