કચ્છના મુન્દ્રામાં મોટી દુર્ઘટના: ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્ત
કચ્છના મુન્દ્રામાં આજે વહેલી સવારે મોટી દુર્ઘટના બની છે. મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના લીધે રહેણાક મકાનમાં મકાનમાં અગ્ગ લાગી હતી. આ ઘટનામાં પિતા-પુત્રીનું મોત થયું છે. જ્યારે પત્ની ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જેની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલા સૂર્યનગરમાં એક મકાનની અંદર એસીનું કમ્પ્રેશર ફાટતાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેના લીધે ઘરની અંદર ભયંકર આગ લાગી હતી. આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.વ. 41) અને જાનવી (ઉ.વ. 2)નું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે 30 વર્ષીય માતાને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમની હાલત નાજુક છે.
ACમાં બ્લાસ્ટ બાદ ઘરમાં આગ લાગતાં આસપાસના વિસ્તારના લોકો મોટી એકઠાં થઇ ગયા હતા અને તેમણે ફાયર બ્રિગેડ અને પોલીસને આ ઘટના અંગેની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં મેળવ્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ મકાન અંદર તપાસ કરતા પરિવારના ત્રણ સભ્યો દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં 41 વર્ષીય રવિ કુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથુ થઇ ગયા હતા. જેમના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવમાં આવ્યા છે. જ્યારે માતા કવિતાબેન 70 ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે કયા કારણોસર કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. હાલમાં પોલીસે જાણવા જોગના આધારે આગળની તપાસ હાથ ધરી છે.