કચ્છમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાનો પ્રયાસ: ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા, બહાર ન નીકળવા સૂચના
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. 7 મેથી લઇને અત્યાર સુધી પાકિસ્તાને સતત ભારત પર ડ્રોન હુમલા કર્યા છે પરંતુ ભારતીય સેનાએ ડ્રોન હુમલાને નિષ્ફળ બનવ્યા છે. આ દરમિયાન કચ્છની સરહદે પાકિસ્તાનનો વધુ એક ડ્રોન હુમલો ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. અબડાસાના નાની ધ્રુફી ગામ પાસે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું.
પાકિસ્તાને કચ્છ પર ડ્રોન હુમલાઓ કર્યા હતા. ભારતીય સેનાએ કચ્છમાં પાકિસ્તાનના છ ડ્રોન તોડી પાડ્યા હતા. વાયુસેનાએ ભૂજ પાસે બે પાક. ડ્રોન તોડી પાડ્યા હતા. જ્યારે નલિયા પાસે ચાર પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. સરહદી વિસ્તાર જ નહી પરંતુ ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. પાકિસ્તાની ડ્રોન ગાંધીધામ સુધી પહોંચ્યું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાં વધારાનો બંદોબસ્ત કરાયો હતો. ભુજ, ગાંધીધામના અનેક રસ્તાઓ પર બેરીકેટ લગાવાયા હતા.
હાલની સંવેદનશીલ સ્થિતિને જોતા કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને કોઇ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ છે. ભુજ શહેરમાં ઈમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવાનો આદેશ કરાયો હતો. સાથે જ કોઇપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા પણ કહેવાયું છે.