આદીપુર પાસે ભુજ-રાજકોટ એસટી વોલ્વોએ બે વાહનને ઉલાળ્યા, એમબીએની છાત્રાનું મોત
આદિપુર પાસે ટાગોર રોડ પર એસટી વોલ્વોની અડફેટે એક એક્ટીવા અને એક બાઈક આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક એમબીએની છાત્રાનું ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, તો તેની પાછળ સવાર બીબીએની છાત્રા અને બાઈક ચાલક અન્ય એક યુવાન ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે.
ભુજ થી રાજકોટ જઈ રહેલી એસટી વોલ્વો બસ આદિપુરના મુંદ્રા સર્કલથી આગળ વધી ત્યારે સીસીટીવીમાં જોતા તેની ગતી વધારે હતી અને તે ગાંધીધામ તરફ ધસમસતી આગળ વધી રહી હતી. દરમ્યાન 24 વર્ષીય સતુપલી રીતુ લક્ષ્મીનારાયણ જે ટીમ્સના એમબીએમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે, તે અને ટીમ્સનીજ 19 વર્ષીય બીબીએની છાત્રા અંકીતા જીલડીયા સવાર હતી.
તેઓ કોલેજથી નિકળીને જનતા પેટ્રોલપંપથી પેટ્રોલ ભરાવી રોડના કટમાંથી ક્રોસ કરવા માટે આગળ વધ્યા, ત્યારે બસે તેમને સીધાજ અડફેટે લીધા, જેના કારણે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો અને તે ડીવાઈડર સાથે ટકરાઈ, ધુમાડાના ગોટા ઉડ્યા, ડીવાઈડર તુટી ગયું અને આખી બસ તેને ટપાવીને રોંગ સાઈડમાં આવી ગઈ. જ્યાં સામેથી આવી રહેલી એક બાઈક પર 19 વર્ષીય સમીર તરૈયા આવી રહ્યો હતો, તેને બસે સામેથી ટક્કર મારીને ઘસડ્યો. બસના આગળના પૈડાઓમાં તેની બાઈક ફસાઈ ગઈ. ઘટના જોતા આસપાસથી લોકો મદદ માટે દોડી આવ્યા, બેભાન યુવાનને સીપીઆર પણ આપ્યું. અકસ્માતમાં એક યુવતીનું મોત નિપજ્યું છે, તો એક યુવતી અને યુવાન ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
અકસ્માતમાં મોત પામનાર 24 વર્ષીય રીતુ સતુપલ્લી તોલાણી મોટવાની મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમબીએના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. તેનું આજે સાંજેજ નોકરી માટે ઈન્ટરવ્યું ગોઠવાયું હતું. જે માટે રીઝ્યુમ લેવાજ તે કોલેજથી જઈ રહી હતી. ભારી મને તેમના પ્રોફેસરે જણાવ્યું કે તે ક્લાસથી સૌથી વિન્રમ અને તેજસ્વી છાત્રા હતી. તેના લગ્ન થઈ ચુક્યા હતા અને તેની નાની બાળકી પણ છે, જેણે માતાનું છત્ર ગુમાવ્યું હતું.