ગાંધીધામના પડાણામાં પાણીની મોટર બંધ કરવા મુદ્દે શ્રમિક યુવાનની હત્યા
ગાંધીધામના પડાણામાં મોટર બંધ કરવા મુદ્દે બે શ્રમિક વચ્ચે થયેલી બોલાચાલીમાં થઈ હતી. આ બબાલમાં લાકડાંની પટ્ટી વાગવાથી બિહારના શ્રમિક સંજયકુમાર રતનલાલ ચૌધરી (ઉ.વ. 36)ને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. ચાલુ સારવાર દરમ્યાન આ પરપ્રાંતીય યુવાને અંતિમ શ્વાસ લેતાં મારામારીનો આ બનાવ હત્યામાં તબદીલ થયો હતો. સુધીર એન્ડ સન્સ ઈમ્પોર્ટ પ્રા.લિ.માં ગત તા. 2/6ના રાત્રિના 11 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. આ બેન્સામાં કામ કરતા સુબોધ રામસ્વરૂૂપ પાસવાની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, બેન્સામાં મોટર ચાલુ હોવાથી પાણીની ટાંકીમાંથી પાણી બહાર નીકળતું હતું. મોટર બંધ કરવા મુદ્દે આરોપી ગુરુદેવકુમાર પ્રમોદ શર્મા અને મૃતક સંજય ચૌધરી વચ્ચે બોલાચાલી થઈ હતી.
આરોપીએ મોટર બંધ કર્યા બાદ પણ બંને વચ્ચે બબાલ ચાલુ હતી. આ બંને જણે લાકડાંની પટ્ટી વડે મારામારી દરમ્યાન સંજયકુમારને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચતાં તે અચાનક નીચે પડી ગયા હતા. પડાણની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે આ યુવાને અમદાવાદ ખાતે મોકલાયો હતો. આ સ્થળે ચાલુ સારવાર દરમ્યાન ગત તા. 4/6ના રાત્રિના 10.30 વાગ્યાના અરસામાં આ યુવાને અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધીધામ બી-ડિવિઝન પી.આઈ. ગોજિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં બનાવ સ્થળે સંબંધિતોના નિવેદનો નોંધાવવા સહિતની દિશામાં તપાસ જારી છે.