ખંભાળિયા: બાળકો માટેના સમર કેમ્પમાં બાળકોએ કર્યું માતા પિતાનું પૂજન
03:03 PM May 08, 2024 IST | Bhumika
- મહિલાઓ સંચાલિત સમર કેમ્પમાં બાળકોમાં થતું સંસ્કારોનું સિંચન
ખંભાળિયામાં હાલ વેકેશનના માહોલમાં નાના બાળકોમાં સંસ્કારોનું સિંચન તેમજ ઇતર પ્રવૃત્તિઓ પ્રત્યે સુરુચિ વધે તે હેતુથી અહીંના રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા ગણાત્રા હોલ ખાતે સની સ્માઈલ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં બાળકોને વિવિધ જરૂરી જ્ઞાન, માર્ગદર્શન સાથે ઇતર પ્રવૃત્તિઓ અંગે પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ સમર કેમ્પમાં તાજેતરમાં બાળકોને માતા-પિતા પ્રત્યેનો આદરભાવ વધે તે હેતુથી માતૃ-પિતૃ પુજનના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરલભાઈ મોદી દ્વારા માતા-પિતાના અનન્ય મહત્વ વિશે બાળકોને સમજાવી અને બાળકો દ્વારા માતા-પિતાની પૂજા, આરાધના કરાવવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોએ માતા-પિતાને લગતા વક્તવ્ય પણ આપ્યા હતા અને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમર કેમ્પના આયોજક ધારા હિંડોચા, દિવ્યા ખગ્રામ, સ્વરા કાનાણી તેમજ ભૂમિ હિંડોચાનું આ આયોજન સૌ કોઈએ બિરદાવ્યું છે.
Advertisement
Advertisement