કેજરીવાલનો જેલવાસ લંબાયો, કોર્ટે 3 જુલાઈ સુધી લંબાવી કસ્ટડી
દારૂ કૌભાંડના મુખ્ય આરોપી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો જેલવાસ લંબાયો છે. દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે ફરી એક વાર કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી દીધી છે. સાથે વિનોદ ચૌહાણની ન્યાયિક કસ્ટડી પણ લંબાવાઈ છે.
આ બન્નેને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં બંનેની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયાં હતા. હાલમાં કેજરીવાલ દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે. રાઉઝ એવન્યુ કોર્ટના આ આદેશ બાદ કેજરીવાલે હાલ તિહાર જેલમાં જ રહેવું પડશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન ઈડીના વકીલે કહ્યું કે વિનોદ ચૌહાણે કવિતાના પીએ પાસેથી 25 કરોડ રૂૂપિયા અભિષેક બોઈનપલ્લી મારફતે લીધા હતા. આ પૈસા ગોવાની ચૂંટણી માટે લેવામાં આવ્યા હતા. વિનોદ ચૌહાણની મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી.