ટ્રેનમાં ભૂલાયેલ 3 મોબાઇલ સાથેનો થેલો મૂળ માલિકને પરત આપતી રેલવે પોલીસ
જુનાગઢના મુસાફર પોતાના અગત્યના ડોક્યુમેન્ટ અને ત્રણ મોબાઈલ રાખેલ કિંમતી થેલો મુસાફરી દરમ્યાન ટ્રેનમાં ભુલી ગયા હતા. જેની જાણ થતાં વેરાવળ રેલવે પોલીસના સ્ટાફએ ત્વરીત કાર્યવાહી શોધખોળ હાથ ધરી કિંમતી થેલો શોધીને મુસાફરને પરત કરવાની સતર્કતા પૂર્વકની ફરજ બજાવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આજે રાજકોટ-સોમનાથ ટ્રેનમાં જુનાગઢથી પ્રફુલભાઈ મોરી બેસેલ હતા અને માળીયાહટીના સ્ટેશનએ ઉતરી ગયા હતા. દરમ્યાન તેઓ પોતાનો અગત્યના કાગળો તથા ત્રણ મોબાઈલો રાખેલ કિંમતી થેલો ટ્રેનમાં જ ભુલી ગયા હતા. જેની યાદ ઉતરી ગયાના થોડા સમય બાદ થતા પ્રફુલભાઈએ રેલવે પોલીસને જાણ કરી હતી. જે માહિતીને લઈ વેરાવળ રેલવે પોલીસના હે.કો. રાજેન્દ્ર જાડેજા, માનસિંહભાઈ, પરેશભાઈએ ટ્રેનમાં શોધખોળ હાથ ધરતા મુસાફરે જણાવ્યા મુજબનો બ્લુ કલરનો થેલો રેઢો મળી આવતા તેને કબ્જામાં લઈ ખરાઈ કરી હતી. બાદમાં પ્રફુલભાઈને વેરાવળ રેલવે સ્ટેશન ખાતેની પોલીસ ચોકીએ રૂબરૂ બોલાવી હાથો હાથ થેલો રેલવે પોલીસે પરત કર્યો હતો. ત્યારે પોલીસની સતર્ક કામગીરીને મુસાફરએ આવકારી હતી.