કેશોદ પંથકના મુસાફરો ડાયવર્ઝનનાં નામે એસટી બસમાં લૂંટાઈ રહ્યાં છે
કેશોદના ચારચોક વિસ્તારમાં ચાલતાં અંડરબ્રીજનાં કામને કારણે જીલ્લા કલેકટર કચેરીએ પ્રસિદ્ધ કરેલાં જાહેરનામાં મુજબ ભારે વાહનો શહેરમાં પ્રવેશવા માટે ચાદીગઢ પાટીએથી શરદચોક અને સોદરડા બાયપાસથી બસ સ્ટેન્ડ સુધી છુટછાટ આપવામાં આવી છે જેથી કેશોદ એસટી બસમાં મુસાફરી મોંધી બની છે. કેશોદ એસટી ડેપોથી ઉપડતી બસમાં અગતરાય ગામ સુધીનાં મુસાફરો પાસેથી ડાયવર્ઝનનાં કારણે 24/- રૂૂપિયા વસુલવામાં આવે છે ત્યારે અમુક બસમાં 16/- રૂૂપિયા વસુલવામાં આવે છે મુસાફરો પાસેથી ડાયવર્ઝનનાં કારણે વધુ રકમ વસુલવામાં આવ્યાં બાદ પણ બસ સોદરડા બાયપાસ રોડ પર જવાને બદલે જુનાગઢ જિલ્લા કલેકટરનાં જાહેરનામાંનો ઉલાળીયો કરી શહેરનાં પેટા માર્ગો પરથી પસાર થાય છે અને મુસાફરો ઉઘાડી લુંટનો ભોગ બની રહ્યાં છે.
કેશોદના ચારચોક ખાતે અંડરબ્રીજનું કામ ચાલુ છે એ ક્યારે પુરું થશે એનું નક્કી નથી ત્યારે વિના કારણે મુસાફરો દંડાઈ રહ્યાં છે ત્યારે ખાનગી પેસેન્જર વાહનચાલકોને ઘી કેળા થઈ ગયાં છે અને મુસાફરોની મજબુરીનો લાભ ઉઠાવી રહ્યાં છે. કેશોદના પ્રતિબંધિત વિસ્તારમાં એસટી બસો પસાર થતાં ખાનગી વાહનચાલકો પણ ઘુસવા લાગતાં ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની છે. કેશોદના જવાબદાર તંત્ર દ્વારા જુનાગઢ જિલ્લા કલેકટરનાં જાહેરનામાંનો કડકાઇથી અમલ કરાવવામાં આવતો ન હોવાથી ભારે વાહનોનાં ચાલકો બેફામ બની ગયાં છે ત્યારે એસટી બસનાં કર્મચારીઓ સાથે ઘર્ષણ થશે કે આકસ્મિક ઘટનામાં કોઈ રાહદારી કે વાહનચાલકનો ભોગ બનશે તો જવાબદારી કોની રહેશે.