ગિરનાર આરોહણ સ્પર્ધાના ઈનામોની રકમમાં ધરખમ વધારો કરતી સરકાર
ગુજરાત સરકારે ખૂબ કઠિન ગણાતી ગિરનાર અવરોહણ સ્પર્ધાની ઈનામી રાશિમાં ખૂબ મોટો વધારો કર્યો છે. ચાર વયજૂથમાં યોજાતી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટેના પુરસ્કારમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, રાષ્ટ્રીય કક્ષાની 4 વયજૂથની સ્પર્ધામાં 1થી 10 સુધીમાં ક્રમાંક મેળવનારને અગાઉ કુલ 5.50 લાખના આપતા, હવે કુલ 19 લાખની ઈનામી રાશિ અપાશે. તેવી જ રીતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કુલ 66,000ની પુરસ્કાર રાશિ વધારીને 8.40 લાખ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ દેશ અને રાજ્યમાંથી આવતા સ્પર્ધકોને મોટી ભેટ આપી છે. જેથી સ્પર્ધકોને પ્રોત્સાહન મળવાની સાથે તેમનો ઉત્સાહ પણ વધશે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ રાજ્ય સરકારમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પુરસ્કારમાં વધારો કરવા માટે રજૂઆત કરી હતી. આમ, તેમની રજૂઆતને પણ સફળતા મળી છે.
અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને 50 હજારની જગ્યાએ 1 લાખ રૂૂપિયા અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને 7000 હજારની જગ્યાએ 50 હજાર રૂૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કાર રાશિના વધારાનો લાભ આગામી સમયમાં યોજાનાર સ્પર્ધામાં મળશે.
ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ભારતના યુવક અને યુવતીઓ માટેની અખિલ ભારત તેમજ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે રાજ્યકક્ષાની સ્પર્ધા 7મી જાન્યુઆરી 2024ના રોજ તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા 4 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાશે. આ માટેની પૂર્વ તૈયારીઓ કલેકટર અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં કરવામાં આવી રહી છે. કલેકટરે પણ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. તેમજ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ અને રાજ્યકક્ષાની સ્પર્ધાને નવી ઉંચાઈ મળવાની સાથે સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો થશે.