ગોંડલના ગણેશ જાડેજાની જમીન અરજીનો ચુકાદો 25મી જૂને
જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી મારમારવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જૂનાગઢ પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતં.
ફરિયાદી સંજય સોલંકીના વકીલ સંજય પંડિતે જણાવ્યું હતું કે, આજે જુનાગઢ સેશન્સ કોર્ટમાં ગણેશ જાડેજાના કેસ મામલે જામીન અરજી માટેની સુનાવણી રાખવામાં આવી હતી. જે મામલે ફરિયાદીના વકીલ તરીકે કોર્ટમાં આરોપીઓને જામીન ન મળે તે માટે વાંધા કારણો રજૂ કરવામાં આવ્યા હતા.. જેને લઇ જુનાગઢ નામદાર કોર્ટ દ્વારા બંને પક્ષને સાંભળવામાં આવ્યા હતા ત્યારે ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓની જામીન અરજી મામલે આગામી તારીખ 25 જૂને સુનાવણી રાખવામાં આવી છે.જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ જાડેજાના કેસ મામલે તપાસ ગતિમાન છે. અને આ કેસ મામલે ચાર્જસીટ પણ ફાઇલ કરવામાં આવ્યું નથી.ત્યારે પોલીસ દ્વારા પણ આ કેસ ને લઈ કોર્ટમાં અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે આગામી 25 તારીખે કોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપવા તે ન આપવા તે મામલે હુકમ કરવામાં આવશે.
ફરિયાદ પક્ષના વકીલે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસ મામલેની વાંધા અરજીમાં આ કેસના આરોપીઓની વર્તણુક બાબતે તમામ દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ કેસમાં પકડાયેલ આરોપીઓનો આ પ્રથમ ગુનો નથી. અગાઉ પણ આ ટોળકી અને ગુનાઓમાં આવેલી છે અને ગોંડલ તાલુકામાં આ ટોળકીની દહેશત છે. ત્યારે આ ટોળકી દ્વારા જે અગાઉ ગુનાઓ આચરવામાં આવેલા છે તે ગુન્હાઓની વિગત આધાર પુરાવા સાથે કોર્ટમાં રજૂ કરી હતી. ત્યારે અગાઉ આ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે જાણે કે કાયદો તેમના ખિસ્સામાં હોય તેવી તેની વર્તણૂક હતી તે મામલે પણ કોર્ટનુ ધ્યાન દોરવામાં આવ્યું છે.
જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકી સાથે 30 મેંની રાત્રે જૂનાગઢના દાતાર રોડ પર ગણેશ જાડેજા અને તેની ટોળકીના સભ્યોએ વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ કરી હતી. ત્યારબાદ સંજયનું અપહરણ કરી ગોંડલ લઈ જવાયો હતો જ્યાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરી વીડિયો બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓ સંજય સોલંકીને ફરી જૂનાગઢ ઉતારીને નાસી છૂટ્યા હતા. આ મામલે ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.