JEE મેન્સનું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓના 100 પર્સેનટાઇલ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આજે મોડી રાત્રે એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE-Mainના સત્ર-2નું પરિણામ જાહેર કર્યું. જેમાં દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. . સફળ ઉમેદવારો JEE મેઈન્સની સત્તાવાર વેબસાઈટ પર તેમનું પરિણામ જોઈ શકે છે. 100 ગુણ મેળવનાર ગુજરાતના બે વિદ્યાર્થી છે. મિત પારેખ અને હર્ષલ કાનાણી રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યા છે. દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. JEE મેઈન્સમાં સારા ગુણ મેળવનાર વિદ્યાથીઓ JEE એડવાન્સની પરીક્ષા આપશે. IIT સહિતની સંસ્થાનોમાં પ્રવેશ માટે JEEની પરીક્ષા લેવાય છે.
NTA દ્વારા જાહેર કરાયેલા પરિણામ અનુસાર, આ વખતે JEE મેઈન્સના સત્ર-2ના પરિણામમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. સત્ર-2ના પરિણામમાં રેકોર્ડ 56 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તમને જણાવી દઈએ કે, JEE મેઈન્સના જાન્યુઆરી સત્રમાં 23 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા હતા, જ્યારે એપ્રિલના સત્રમાં 33 ઉમેદવારોએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. 100 પર્સેન્ટાઈલ મેળવનારા ઉમેદવારોમાં 15 તેલંગાણાના, સાત આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના છે, જ્યારે છ ઉમેદવારો દિલ્હીના છે.
JEE મેન્સ 2024 સત્ર 2 ની પરીક્ષા 4, 5, 6, 8, 9 અને 12 એપ્રિલ 2024 ના રોજ યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન, દેશભરના 319 શહેરોમાં અને દેશની બહારના 22 શહેરોમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી, જેની આન્સર કી 12 એપ્રિલે બહાર પાડવામાં આવી હતી. આન્સર કી પર વાંધો દાખલ કરવાની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2024 હતી. આ માટે 24 લાખથી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી લગભગ 12.57 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા JEE મુખ્ય પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવી હતી. જેમાં આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે.