જામનગરના ચાંદી બજારમાંથી સાતનારી ગેંગના એક સદસ્ય સહિત બે શખ્સની અટકાયત: આરબલૂસમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
લાલપુરના આરબલુસ ગામમાં એક ખેતરમાં નિદ્રાધીન થયેલા શ્રમિક દંપતીને ડરાવી-ધમકાવી બે શખ્સ લૂંટી ગયાની પોલીસમાં ફરિયાદ થયા પછી તપાસમાં જોતરાયેલી એલસીબીએ ગઈકાલે ચાંદી બજારમાંથી બે શખ્સને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. લૂંટમાં ગયેલી રોકડ સહિતની ચીજવસ્તુઓ અને લૂંટમાં વપરાયેલું બાઈક કબજે કરાયું છે. ઝડપાયેલા બે આરોપીમાંથી એક શખ્સ કુખ્યાત સાતનારી ગેંગનો સદસ્ય હોવાનું પ્રાથમિક પૂછપરછમાં ખૂલ્યું છે.
લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં એક ખેતરમાં મજૂરીકામ કરવા માટે મધ્યપ્રદેશથી આવીને રહેતા કાલુભાઈ ફતીયાભાઈ મેડા તથા તેમના પત્ની વીસેક દિવસ પહેલા રાત્રિના સમયે તેમના ખેતર સ્થિત રહેણાંકમાં નિદ્રાધીન થયા હતા ત્યારે અંદાજે દોઢેક વાગ્યે ખેતરમાં ઘૂસેલા બે અજાણ્યા શખ્સે લૂંટ ચલાવી હતી.
લૂંટારાઓએ કાલુભાઈની દીવાલમાં ખોડવામાં આવેલી ખીંતીમાં ટીંગાડી થેલીમાંથી કાલુભાઈના પત્નીની ચાંદીની બે બંગડી, ઝૂમખા ઉઠાવ્યા હતા. આ વેળાએ ઉંઘમાંથી ઉઠી ગયેલા કાલુભાઈ તથા તેમના પત્નીને ચૂપ રહેવા માટે ડરાવી-ધમકાવી આ શખ્સોએ કાલુભાઈના પેન્ટના ખિસ્સામાંથી રૃા.3 હજાર રોકડા અને બે મોબાઈલ લૂંટી લીધા હતા અને તે પછી પોબારા ભણ્યા હતા.
આ ફરિયાદ પરથી શરૃ કરાયેલી તપાસમાં એલસીબીના સંજયસિંહ, હિતેન્દ્રસિંહ, દિલીપ તલાવડીયા, કાસમ બ્લોચને બાતમી મળી હતી કે, આ લૂંટમાં સંડોવાયેલા બે શખ્સ ચાંદીબજારમાં આવ્યા છે. તે બાતમીથી પીઆઈ જે.વી. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરીના વડપણ હેઠળ એલસીબી ટીમ ચાંદીબજારમા ધસી ગઈ હતી.
ત્યાંથી મૂળ જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના વતની અને હાલમાં સિક્કાના પાટિયે રહેતા ધીરૃ ઉર્ફે ધીરીયા મનજી સોલંકી તથા ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા પરેશ ધીરૃ વાઘેલા નામના બે દેવીપૂજક શખ્સની અટકાયત કરાઈ હતી. આ શખ્સોની તલાશી લેવાતા તેના કબજામાંથી રૃા.3 હજાર રોકડા, બે મોબાઈલ, ચાંદીની બે બંગડી, બે ઝૂમખા મળી આવ્યા હતા.આ શખ્સોનું જીજે-27-બીએન 3252 નંબરનું પલ્સર મોટરસાયકલ મળી કુલ રૃા.54,800નો મુદ્દામાલ કબજે કરી એલસીબી કચેરીએ બંનેને લઈ જવાયા હતા.આ શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરાતા આરોપી પૈકીનો ધીરૃ ઉર્ફે ધીરીયો મનજી સોલંકી કુખ્યાત સાતનારી ગેંગનો સદસ્યો હોવાનું ખૂલ્યું છે. તેની સામે જામનગર જિલ્લાના લાલપુર, શેઠવડાળા, પંચકોશી-બી ડિવિઝન તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા, ભાણવડ, ખંભાળિયામાં છેલ્લા ત્રેવીસ વર્ષમાં લૂંટ, હત્યા સહિતના નવ ગુન્હા નોંધાયેલા હોવાનું ખૂલ્યું છે. બંને આરોપીનો કબજો લાલપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરાઈ છે.