દેવભૂમિ દ્વારકામાં 23-24 ડિસેમ્બરે 37 હજાર આહીરાણીના મહારાસનું આયોજન
રાજાધિરાજ કૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારિકામાં 37,000 આહિરાણીઓ એક સાથે મહારાસ રમશે. આ મહારાસનો હેતુ 5000 વર્ષ પહેલાના ઇતિહાસને ફરી વાગેળીને જીવંત કરવાનો અને સમાજની એકતૃત્વ શકિતને વધારે પ્રબળ બનાવવાનું છે.
આ આયોજનના ભાગરૂપે અખિલ ભારતીય આહિરાણી મહારાસની કમિટી દ્વારા રાજકોટ તેમજ આસપાસના નજીકના ગામડાઓમાં જઇ મહારાસ વિશેની માહિતી આપી અને આહીરાણીઓ દ્વારા ખૂબજ ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું ત્યારબાદ મહારાસની પૂર્વ તૈયારી રૂપે પરંપરાગત પહેરવેશમાં આહિરાણીઓ દ્વારા તાજેતરમાં આ મહારાસની કમિટી સાથે જોડાયેલી બહેનો દ્વારા હોટલ સિઝન્સમાં તેનું આયોજન ડેમોરાસ સ્વરૂપે કરવામાં આવ્યું હતું.
આ ડેમો રાસમાં 1,000થી પણ વધુ સંખ્યામાં આહિરાણીઓ કૃષ્ણમય બની અને રાસ રમી હતી. તા.13ના રોજ પંચવટી મેઇન રોડ ભકિતધામ મંદિર મુકામે ભગવાન શ્રીકૃષ્ણમને આ રાસમાં આમંત્રિત કરવા માટે પરંપરાગત એવા આહિરાણી પહેરવેશમાં શ્રીકૃષ્ણના ચરણોમાં આમંત્રણ પત્રિકા અર્પણ કરી ત્યારબાદ રાસમાં સહભાગી બનનાર બહેનોને પાસનું વિતરણ કરવામાં આવ્યું.
અખિલ ભારતીય આહિરાણી મહારાસના નેજા હેઠળ આગમી તા.23 અને 24 ડિસેમ્બરના રોજ આ મહારાસ રમવા માટે તેમજ આ વિસ્મરણીય લાહવો લેવા માટે નાના મોટા સૌ ઉત્સુક છે. આ મહારાસમાં ભારતના જુદા-જુદા રાજ્યો ઉપરાંત વિશ્ર્વ આખાના દેશોમાંથી આહિરાણીઓ ઉમટી કૃષ્ણ ભકિતમાં લીન થઇ મહારાસ રમી અને ઇતિહાસ રચશે.