વેપારીની જમીન પચાવી પાડનાર આરોપી પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
જામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર આવેલી જામનગરના એક વેપારીની જમીનમાં ગેરકાયદે પેશ કદમી કરી જમીન પચાવી પાડવા અંગે જામનગરના બે પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગે ગુનો નોંધાયો છે. જમીનનો કબજો કરી લઈ તેમાં રસ્તા બનાવી લીધા બાદ જમીન ખાલી નહીં કરી પતાવી દેવાની ધમકી આપતાં મામલો જિલ્લા કલેકટર અને પોલીસમાં લઈ જવાયો હતો. જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની અરજી કરાયા પછી આ ફરિયાદ દાખલ થઈ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને અનાજ કરિયાણા નો વેપાર કરતા નિશાંત ભાઈ ગિરધરલાલ મોરજરીયા નામના લોહાણા વેપારી કે જેઓની જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર રેવન્યુ સર્વે નંબર 467,468 ના પેટા પ્લોટ નંબર 6 વાળી જમીન આવેલી છે. જે જમીનનો ગેરકાયદે રીતે કબજો કરી લેવાયો હતો, અને જામનગરમાં કૌશલ નગરમાં રહેતા રસિકભાઈ જેઠાલાલ ભરડવા અને દિશાંત રસિકભાઈ ભરડવા નામના પિતા-પુત્ર દ્વારા જમીનમાં પેશ કદમી કરી લઈ પોતાના આવવા જવા માટે ના રસ્તા વગેરે બનાવી લેવાયા હતા.
જે અંગેની ફરિયાદી વેપારી ને જાણ થતાં તેઓએ પોતાની જમીન ખાલી કરી દેવા માટે જણાવ્યું હતું. પરંતુ પિતા પુત્ર એ જમીન ખાલી નહીં કરી ફરીથી જમીન ખાલી કરવા માટે દબાણ કરશે તો ટાંટીયા ભંગાવી નાખશે, તેવી ધમકી ઉચ્ચારી હતી.
જેથી નિશાંતભાઈ મોરજરીયા દ્વારા જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસને તપાસ સોંપવામાં આવી હતી, અને તેનો રિપોર્ટ તૈયાર કરાયો હતો. જેમાં વેપારીની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી અથડાયેલા કલેક્ટરના આદેશ અનુસાર જિલ્લા પોલીસવડાને હેઠળ ગુનો દાખલ કરવા હુકમ કરાયો હતો, તે અનુસાર જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં આરોપી પિતા પુત્ર રસિકભાઈ ભરડવા અને દિશાંત રસિકભાઈ સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 ની કલમ 4(3),5 ગ અને આઈપીસી કલમ 506-2 તથા 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.