લોકસભામાં રાહુલ વિપક્ષના નેતા બની વૈક્લ્પિક ચહેરો બને તે જરૂરી
લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેમાં મોદીએ મુસ્લિમ તુષ્ટિકરણના જોરે પોતાની દુકાન ચલાવતા ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમારને મોટા ભા બનાવવા પડ્યા છે. અત્યાર લગી મોદીની ગેરંટીઓની વાત કરતા મોદી હવે મોદીની ગેરંટીની વાત છોડો પણ ભાજપની વાત પણ નથી કરતા. તેના બદલે એનડીએની વાત કરતા થઈ ગયા છે. દસ વર્ષ લગી એકહથ્થુ શાસન કરનારા મોદીએ હવે સાથે મળીને સરકાર ચલાવવાની વાતો કરવી પડે છે.
સ્વાભાવિક રીતે જ નરેન્દ્ર મોદીનો દબદબો ઘટી ગયો છે ત્યારે બીજી તરફ નહેરૂૂ-ગાંધી ખાનદાન પાછો લાઈમલાઈટમાં આવી ગયો છે. એક તબક્કે નહેરૂૂ-ગાંધી ખાનદાન પર નિષ્ફળતાનું લેબલ એવું લાગી ગયેલું કે, બળતું ઘર ખડગેને સમર્પિત કરીને આખું ખાનદાન ખસી ગયેલું. ભાજપની હાર સાથે પાછા નહેરૂૂ-ગાંધી ખાનદાનના દિવસો આવી ગયા છે. એક તરફ સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળનાં પ્રમુખપદે ચૂંટાયાં છે ત્યારે બીજી તરફ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનવાનો તખ્તો તૈયાર કરી દેવાયો છે.
રાહુલે લોકસભામાં વિપક્ષનું નેતાપદ સ્વીકારવું પણ જોઈએ કેમ કે કોંગ્રેસમાં બીજો કોઈ એવો નેતા નથી કે જે આ હોદ્દા પર બેસવા માટે લાયક ગણી શકાય. કોંગ્રેસના બીજા બધા નેતા સાવ મોળામસ છે જ્યારે રાહુલ આક્રમક છે. રાહુલ વિશે ભાજપના ભક્તજનોએ ગમે તે વાતો ફેલાવી હોય પણ રાહુલમાં જબરદસ્ત લડાયકતા તો છે જ. રાહુલે કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે આખા ભારતની બે યાત્રાઓ કરીને બતાવેલી લડાયકતાને વખાણવી જ પડે.
રાહુલે હજુ પોતાની સક્ષમ નેતા તરીકેની ક્ષમતા સાબિત કરવાની બાકી છે. લોકસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને સ્પષ્ટ બહુમતી મેળવવાથી રોકવામાં સફળ થયો એ મોટી સિદ્ધિ છે કેમ કે ભક્તજનોએ તો માની જ લીધેલું કે, મોદી અજેય છે અને કોઈ કદી તેમને હરાવી ના શકે. અખિલેશ યાદવે એ સાબિત કરી દીધું કે, મોદીને હરાવી શકાતા જ નથી પણ પછાડી પણ શકાય છે.