અટલ સરોવરમાં ઘરનો નાસ્તો લઈ જવાની મનાઈ
ફૂડ કોર્ટ પ્રિન્ટ મુજબ પૈસા લઈ શકશે, સમોસા જેવી લાઈવ વસ્તુઓમાં લૂંટ કરવાની છૂટ
રાજકોટમાં તૈયાર થયેલ અટલ સરોવરની મુલાકાત રોજ સેંકડોની સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. મોટેભાગે સાંજના સમયે સહ પરિવાર સાથે જતા સહેલાણીઓ અટલ સરોવરમાં બેસીને ભોજન લઈ શકે તેમ જ નાસ્તો કરી શકે તેવી ઈચ્છા રાખતા હોય છે. રેસકોર્સમાં દરરોજ સાંજે અનેક પરિવારો ભોજન લેતા નજરે પડી રહ્યા છે. તેવું અટલ સરોવરમાં પણ થાય તેમ લોકો ઈચ્છી રહ્યા હતાં પરંતુ કોર્પોરેશને એજન્સીને પીળો પરવાનો આપી દેતા હવે અટલ સરોવરની મુલાકાતે જનાર કોઈપણ વ્યક્તિ સાથે નાસ્તો અથવા ખાવા-પીવાની વસ્તુ લઈ જઈ શકશે નહીં જ્યારે અટલ સરોવરના ફૂડ કોર્ટમાં મળતી તમામ પેકેડ વસ્તુઓના પ્રીન્ટ મુજબ પૈસા લેવાની અને સમોસા-કચોરી સહિતની લાઈવ આઈટમોમાં તેમને નિર્ધારિત કરેલ રકમ લેવાની છૂટ આપવામાં આવે છે.
અટલ સરોવર ખાતે ફરવા જનાર પરિવારમાં બાળકો સહિતના હોય છે. આથી લોકો સાંજના સમયે ફરવા જાય ત્યારે 25 રૂપિયાની ટીકીટ ખરીદ્યા બાદ અટલ સરોવરમાં મોજ-મજા માણ્યા બાદ સહ પરિવાર સાથે બેસી ભોજનનો લાવો ઉઠાવી શકે તેવું ઈચ્છતા હોય છે. અટલ સરોવરનું લોકાર્પણ થયું તે સમયે પણ લોકો પુછપરછ કરી રહ્યા હતા કે, સહેલાણીઓ સાથે ખાવા-પીવાની વસ્તુઓ અંદર લઈ જઈ શકે કે નહીં આ મુદ્દે તંત્ર દ્વારા કોઈ જાતની ચોખવટ કરવામાં આવી ન હતીં. અને હવે અટલ સરોવરનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે ત્યારે ખાનગી એજન્સીના ફૂડ કોટમાં લોકોને લુંટવામાં આવશે તેવી ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી જેનો હવે અંત આવ્યો છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અટલ સરોવરમાં લોકો પોતાની સાથે ખાવા-પીવાની વસ્તુ લઈ જાય તો અટલ સરોવરમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થાપિત થઈ જાય તેમ છે તેમજ સરોવરમાં પણ લોકો કચરો અને ખોરાક નાખે તેવી શક્યતા જોવાઈ રહી છે આથી અટલ સરોવર વિસ્તારને સ્વસ્થ રાખવા માટે એજન્સી દ્વારા સહેલાણીઓેને પોતાની સાથે ખાવા-પીવાની વસ્તુઓ લઈ જવા ઉપર પ્રતિબંધ ફરવામાવામાં આવ્યો છે.
અટલ સરોવરમાં કોઈપણ વ્યક્તિ પોતાની સાથે ખાવા-પીવાની વસ્તુ લઈજઈ શકશે નહીં તે મુદ્દે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવેલ કે, હાલ સંપૂર્ણ અટલ સરોવરનું સંચાલન એજન્સી દ્વારા કરવામા આવ્યું છે અને તેમના દ્વારા ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવી છે. આ ફૂડ ઝોનમાં હાલમાં વહેચવામાં આવતા તમામ બ્રાન્ડેડ પેકેટ વસ્તુનું વેચાણ પ્રીન્ટના ભાવે કરવાની સુચના આપવામાં આવી છે.
જ્યારે ફૂડઝોનના રસોડામાં બનતી સમોસા સહિતની વસ્તુઓના ભાવ તેઓ નક્કી કરશે કારણ કે, આ વસ્તુના ભાવ ક્વોલીટી અને કોન્ટેટીના આધારે લેવામાં આવતા હોય છે. છતાં મનપાના ફૂડ વિભાગ દ્વારા ત્યાં બનતી તમામ ખાદ્યસામગ્રીનું ચેકીંગ કરી તેમના દ્વારા લેવામાં આવતા ભાવ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવામાં આવશે. પરંતુ અટલ સરોવરમાં લોકો પોતાની સાથે ખાવા-પીવાની વસ્તુ લઈ જઈ શકશે નહીં.