નેપાળમાં લોકશાહી નાબૂદ કરવા અઠવાડિયાનું અલ્ટિમેટમ: ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા
નેપાળમાં રાજાશાહીની માંગ કરતું આંદોલન દિવસેને દિવસે વેગ પકડી રહ્યું છે. રાજાશાહીનું સમર્થન કરતી સંસ્થાઓએ સરકારને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમનું કહેવું છે કે જો એક સપ્તાહમાં કોઈ સમજૂતી નહીં થાય તો તેઓ આંદોલનને ઉગ્ર બનાવશે. સંયુક્ત પીપલ્સ મૂવમેન્ટ કમિટીએ કહ્યું છે કે શુક્રવારે તેઓ ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક રેલી કાઢશે.
સંગઠનના પ્રવક્તા નબરાજ સુબેદીએ કહ્યું કે તેઓએ તમામ લોકતાંત્રિક પક્ષો અને સરકારને એક સપ્તાહનો સમય આપ્યો છે. તેમણે કહ્યું કે તેમનું આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. તેમ છતાં જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને અમે અમારું લક્ષ્ય હાંસલ કરવાનું ચાલુ રાખીશું. તેમનું કહેવું છે કે સરકારે 1991નું બંધારણ લાગુ કરવું જોઈએ
અને દેશમાં બંધારણીય રાજાશાહી હોવી જોઈએ જેમાં બહુપક્ષીય વ્યવસ્થા અને સંસદીય લોકશાહીને પણ સ્થાન આપવામાં આવે. તેમનું કહેવું છે કે નેપાળ હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ.
સરકાર પાસે તેમની માંગ છે કે વર્તમાન બંધારણમાં જરૂૂરી સુધારા કરીને જૂના કાયદા લાગુ કરવામાં આવે. શુક્રવારે ચાર પક્ષોનું ગઠબંધન સમાજવાદી સુધારણા પણ લોકશાહીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ માઓવાદી અને સીપીએન પણ તેમાં ભાગ લેશે. તેમનું કહેવું છે કે નેપાળના લોકોએ આ લોકતંત્ર માટે સંઘર્ષ કર્યો છે અને તેને ખતમ થવા દેવાય નહીં.
સરકારે કહ્યું છે કે રાજધાનીમાં તણાવને જોતા 5 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવશે. એજન્સીઓએ કાઠમંડુમાં હિંસક અથડામણનો ભય પણ વ્યક્ત કર્યો છે. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકોએ 11 એપ્રિલથી આંદોલનને ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે.આ સાથે જ નેપાળના ટોચના નેતાઓનું કહેવું છે કે હવે નેપાળમાં રાજાશાહીનું પુનરાગમન અશક્ય છે.