લોહીના દરેક ટીપાંનો બદલો લઈશું: શરીફની શેખી
ભારતને થોડા કલાકોમાં જ જવાબ આપી તગેડી મૂક્યાનો પાક. પીએમનો લવારો
ભારત દ્વારા આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી બાદ પાકિસ્તાનનો દહેશત સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પાડોશી દેશના વડાપ્રધાન શાહબાઝ શરીફે રાત્રે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે એક નિવેદન આપ્યું હતું અને ભારતને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. શાહબાઝ શરીફે કહ્યું કે, ભારતે ગઈકાલે રાત્રે કરેલી ભૂલની ભારે કિંમત ચૂકવવી પડશે.
પાકિસ્તાની વડાપ્રધાને પોતાના ભાષણમાં દેશવાસીઓને સંબોધતા કહ્યું કે, અમે આપણા દેશની રક્ષા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. તેમણે દાવો કર્યો કે, પાકિસ્તાને ભારતને થોડા જ કલાકોમાં જવાબ આપી પાછળ ધકેલી દીધું.
પોતાના ભાષણમાં પાકિસ્તાની વડાપ્રધાને ચેતવણી આપી હતી કે, ભારતે લોહીના દરેક ટીપાની કિંમત ચૂકવવી પડશે. અમે ગઈકાલે રાત્રે સાબિત કરી દીધું કે પાકિસ્તાન કડક જવાબ આપવાનું જાણે છે. તેમણે અંતે પાકિસ્તાની સેનાઓને સલામ કરી અને કહ્યું કે, સમગ્ર રાષ્ટ્રને તેમની બહાદુરી અને બલિદાન પર ગર્વ કરે છે.
સંસદને સંબોધતી વખતે તેમણે એર સ્ટ્રાઈકની વાત સ્વીકારી નોંધનીય છે કે, શાહબાઝ શરીફે સંસદને સંબોધિત કરતી વખતે ભારતના હવાઈ હુમલાથી પાકિસ્તાનને થયેલા નુકસાનનો સ્વીકાર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ગઈકાલે રાત્રે અમને દરેક ક્ષણે અપડેટ્સ મળી રહ્યા હતા. ગઈકાલે રાત્રે ભારત સંપૂર્ણપણે તૈયાર થઈને આવ્યું અને 80 ફાઈટર જેટ વડે પાકિસ્તાનના 6 સ્થળોને નિશાન બનાવ્યા.