યુધ્ધ કોઇ રોમેન્ટિક બોલિવૂડ ફિલ્મ નથી: શસ્ત્ર વિરામની ટીકા કરનારાને નરવણેનો જવાબ
ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા, નિવૃત્ત જનરલ મનોજ નરવણેએ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ પર સવાલ ઉઠાવનારા અને પાકિસ્તાન સામે સંપૂર્ણ યુદ્ધ કરવાની હિમાયત કરનારાઓની ટીકા કરી છે. ભૂતપૂર્વ આર્મી ચીફે કહ્યું કે યુદ્ધ કોઈ રોમેન્ટિક બોલીવુડ ફિલ્મ નથી. રવિવારે પુણેમાં એક કાર્યક્રમમાં બોલતા, નરવણેએ કહ્યું કે જો તેમને આમ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોત, તો તેઓ ચોક્કસપણે યુદ્ધના મેદાનમાં ગયા હોત પરંતુ રાજદ્વારી વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવો તેમની પહેલી પ્રાથમિકતા હોત.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોમાં રહેતા લોકો લડાઈને કારણે આઘાતમાં છે.
ખાસ કરીને બાળકો, જેમને બોમ્બમારાને કારણે બંકરોમાં રાત વિતાવવાની ફરજ પડી છે. નરવણેએ કહ્યું કે યુદ્ધમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓનો આઘાત હવે પેઢીઓ સુધી રહેશે. PTSD (પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર) નામની સમસ્યાને કારણે, પીડિતો 20 વર્ષ પછી પણ ગભરાટ અને ચિંતાથી પીડાતા રહે છે. આવા લોકોને ઘણીવાર મનોચિકિત્સકની મદદ લેવી પડે છે.
મનોજ નરવણેએ કહ્યું કે વોર બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મ નથી. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. યુદ્ધ કે હિંસા એ છેલ્લો ઉપાય હોવો જોઈએ. આ જ કારણ છે કે આપણા પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આ યુદ્ધનો સમય નથી. ભલે કેટલાક મૂર્ખ લોકો આપણા પર યુદ્ધ લાદશે, આપણે તેની ઉજવણી ન કરવી જોઈએ. હજુ પણ લોકો વિચારી રહ્યા છે કે એક મોટી લડાઈ થવી જોઈએ. તો હું લડીશ, પણ તે મારી પહેલી પસંદગી નહીં હોય. તેમણે કહ્યું કે તેમની પહેલી પસંદગી રાજદ્વારી છે, જેમાં વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવે છે જેથી યુદ્ધની જરૂૂર ન પડે.
ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે 6-7 મેની રાત્રે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.આના કારણે બંને દેશો વચ્ચે સંઘર્ષ થયો. જોકે, શનિવારે સાંજે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. જોકે, શનિવારે રાત્રે જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેનો ભારતે પણ યોગ્ય જવાબ આપ્યો હતો. જોકે, રવિવારે શાંતિ રહી.