અમેરિકાની ‘યુઝ એન્ડ થ્રો’ માનસિકતા સમજી મોદીએ રશિયા સાથેની નહેરૂકાળની દોસ્તી મજબૂત બનાવી
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા સમાપ્ત થઈ ગઈ. આ યાત્રા દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના આર્થિક સંબંધો ગાઢ બનાવવા માટે ઘણાં બધા કરાર થયા. પુતિન પોતાનું અડધું વહીવટીતંત્ર લઈને ભારત આવેલા તેના પરથી જ સ્પષ્ટ હતું કે, ભારત-રશિયા દોસ્તીનું નવું પ્રકરણ આલેખાશે ને એવું જ થયું છે. ભારત રશિયા પાસેથી થોકબંધ ક્રૂડ ધ ક્રૂડ તો ખરીદે જ છે પણ હવે બીજાં ક્ષેત્રોમાં પણ સહકાર વધશે. આ સહકારની વિગતો મીડિયામાં પુતિનની યાત્રાથી અમેરિકાને મરચાં લાગી ગયાં છે એ સ્પષ્ટ છે.
ડોનલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ભારતને રશિયા સાથેના આર્થિક સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા કહી રહ્યા છે પણ નરેન્દ્ર મોદી તેમની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે. અત્યારે પણ એવું જ થયું છે તેથી અમેરિકા ડુંગરાયેલું છે. પુતિનની યાત્રાના પગલે ભક્તજનો મોદીનાં ઓવારણાં લઈ રહ્યા છે અને રશિયા સાથેના સંબંધો ગાઢ બનાવવા બદલ વખાણ કરી રહ્યા છે. મોદી અમેરિકાને બદલે રશિયા તરફ વધુ ઢળી રહ્યા છે એ સાચું પણ પહેલાં અમેરિકા તરફ ઢળવાનો નિર્ણય મોદીએ જ લીધેલો. બાકી ભારતના તો રશિયા સાથે એકદમ ગાઢ સંબંધો જ હતા. પરંપરાગત રીતે ભારત રશિયાનું જ મિત્ર હતું પણ મોદીને ડોનલ્ડ ટ્રમ્પને પોતાના દોસ્ત ગણાવવાના અભરખા છે તેથી 2016માં ટ્રમ્પ પહેલી વાર પ્રમુખ બન્યા પછી ભારત રશિયાને છોડીને અમેરિકા તરફ વધારે ઢળવા માંડેલું. ટ્રમ્પે તો પહેલી ઈનિંગમાં જ ભારતને પરચો આપી દીધેલો કે, અમેરિકાને ભારત સાથે દોસ્તીમાં નહીં પણ આર્થિક ફાયદામાં રસ છે ને ટ્રમ્પ ભારત પોતાનું આંગળિયાત બનીને રહે એવી માનસિકતા ધરાવે છે. ટ્રમ્પે પહેલી ઈનિંગમાં જ ભારતને નુકસાનકારક ઘણા નિર્ણયો લીધેલા પણ મોદી પાસે વટનાં ગાજર ખાધા વિના છૂટકો નહોતો એટલે અમેરિકા સાથે સંબંધો ગાઢ હોવાનો ડોળ કરવો પડેલો.
ભારતના સદનસીબે ટ્રમ્પ 2020ની પ્રમુખપદની ચૂંટણીમાં હારી ગયા ને જો બાઈડન પ્રમુખ બન્યા એટલે ભારતને સાવ ચૂસી લેવાની વૃત્તિમાંથી છુટકારો મળ્યો પણ અમેરિકા સાથેના સંબંધો ભારત માટે વિન-વિન સિચ્યુએશન જેવા એટલે કે બંનેને માટે ફાયદાકારક બિલકુલ નહોતા. મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની ઐસીતૈસી કરીને રશિયા સાથેના સંબંધો ગાઢ બનાવ્યા છે એ સ્વીકારવું જોઈએ પણ આ મામલે પણ મોદી જેમને સૌથી વધારે ગાળો આપે છે એવા જવાહરલાલ નહેરુના રસ્તે ચાલી રહ્યા છે. વિધિની વક્રતા એ છે કે, મોદી નહેરુની વિદેશ નીતિને કારણે ભારત કંગાળ રહી ગયું એવા આક્ષેપો કરે છે પણ હવે એ જ વિદેશ નીતિને અપનાવી રહ્યા છે. નહેરુએ યુએઈ, સાઉદી અરેબિયા સહિતના મધ્ય પૂર્વના દેશો સાથે સંબધો ગાઢ બનાવેલા અને રશિયાને તો ભારતનું સૌથી વિશ્વાસપાત્ર સાથી બનાવી દીધેલું. મોદી પણ એ જ કરી રહ્યા છે ને ?
રશિયા ભારતને દોસ્ત માને છે અને સમયાંતરે આ દોસ્તીના ટેસ્ટ રશિયાએ પાસ કર્યા છે. 1951માં યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં પાકિસ્તાને અમેરિકાના ખોળામાં બેસીને કાશ્મીર આખું પોતાને મળવું જોઈએ એવી દરખાસ્ત મૂકી ત્યારે અમેરિકા સહિતના દેશો પાકિસ્તાનના પડખે હતા. એ વખતે રશિયા આપણી સાથે ના હોત તો કાશ્મીર હાથથી જતું રહ્યું હોત. ભારતમાં ભાજપ શાસનમાં આવ્યો પછી નહેરુને ગાળો દેવાની ફેશન થઈ ગઈ છે પણ રશિયા સાથેની ગાઢ દોસ્તી નહેરુ કેવા વિઝનરી હતા તેનો પુરાવો છે. નહેરુ 78 વર્ષ પહેલાં સમજી ગયેલા કે, અમેરિકા ભરોસાપાત્ર સાથી નથી ને રશિયા કદી દગો નહીં દે. આ વાત સાચી પડી ને આજે પણ સાચી પડી રહી છે. મોદીએ ? અમેરિકાભક્તિ મૂકીને રશિયા તરફ પાછા વળવું પડી રહ્યું છે.