મોદીના નામે જૂઠાણું ચલાવતા ટ્રમ્પને હવે સ્પષ્ટપણે ઉઘાડા પાડવા જોઇએ
ભારતની મેથી મારવામાં અભૂતપૂર્વ ઉત્સાહ બતાવી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે નવો દાવો કર્યો છે કે, ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદે એવું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મને વચન આપ્યું છે. ટ્રમ્પે બુધવારે વાઇટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં એમ પણ કહ્યું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડવાનું રાતોરાત બંધના કરી શકે કેમ કે પહેલાંથી ઓર્ડર અપાયા હોય તેનાં શિપમેન્ટ રવાના થયાં ને હોય હમણાં ઓર્ડર અપાયાં હોય એ ક્રૂડ પણ આવશે જ તેથી રશિયા અને ભારત વચ્ચે ક્રૂડનો વ્યાપાર બંધ થવામાં સમય લાગશે, પણ ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે નવા ઓર્ડર નહીં આપે.
ટ્રમ્પે એ સ્પષ્ટતા પણ કરી કે, ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે તેનાથી હું ખુશ નહોતો પણ આજે એટલે કે બુધવારે મોદીએ મને ખાતરી આપી કે તેઓ રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. ટ્રમ્પે મોદીનો હવાલો આપીને ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે એવું તો કહી દીધું, પણ ટ્રમ્પની વાત કેટલી સાચી તેમાં ખરેખર શંકા છે. કેમ કે, ટ્રમ્પ ગમે તેના નામે જૂઠાણાં ચલાવી દેવામાં માહિર છે.
ભારત-પાકિસ્તાનનું યુદ્ધ રોકવાથી માંડીને ભારત અમેરિકાના માલ પર કોઈ જ ટેરિફ નહીં લગાવવા તૈયાર થઈ ગયું છે સહિતનાં જૂઠાણાં ટ્રમ્પ બહુ સફાઈથી ચલાવી ચૂક્યા છે. આ તો બે ઉદાહરણ આપ્યાં પણ ટ્રમ્પનાં જૂઠાણાંની વાત માંડીએ તો આખો ચોપડો ભરાય એટલાં નિકળે. મોદીનું કહેવાતું વચન પણ એવું જૂઠાણું હોઈ શકે કેમ કે ભારત સરકારે સત્તાવાર રીતે હવે પછી રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદીએ એવું કહ્યું નથી. સર્જિયો ગોરની ભારત યાત્રા પછી બહાર પડાયેલાં સત્તાવાર નિવેદનોમાં આ વાતનો ઉલ્લેખ નથી. ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ પછી વિદેશી મીડિયાએ વોશિંગ્ટનમાં ભારતના દૂતાવાસને સવાલ કર્યા તો તેમણે મૌન સેવ્યું છે એ જોતાં મોદી સરકારે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ અને એ કરી પણ છે.
રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરાય તો ભારતની વિદેશી નીતિમાં બહુ મોટો ફેરફાર થયો ગણાય. એક તરફ, ટ્રમ્પ અને મોદી એકબીજાને ડિયર ફ્રેન્ડને બેસ્ટ ફ્રેન્ડ ગણાવીને ઓવરણાં લીધા કરે છે ને બીજી બાજુ ટ્રમ્પ ભારતને પરેશાન કરવાની એક તક છોડતા નથી એ જોતાં બંનેની દોસ્તીની વાતો હાસ્યાસ્પદ લાગે છે. મોદીને આવી દોસ્તીની જરૂૂર હશે પણ ભારતને આવી દોસ્તીની જરૂૂર નથી. ટ્રમ્પ મોદીને ડીયર ફ્રેન્ડના ગણાવે કે ગ્રેટ મેન ના ગણાવે તો ચાલશે પણ ભારતનાં આર્થિક હિતોને નુકસાન ના કરે એ જ બહુ છે.