ભારત-યુકે વચ્ચે વેપાર કરાર પરસ્પર લાભદાયી પુરવાર થશે
લગભગ ચાર વર્ષની વાટાઘાટો પછી અંતે ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)ના અમલનો તખ્તો તૈયાર છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હમણાં યુકે ગયા છે. મોદી અને યુકેના વડાપ્રધાન સ્ટેમરની હાજરીમાં થયેલા આ કરારને બંને દેશે ઐતિહાસિક ગણાવ્યો છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વ્યાપાર કરારનો ખરો અર્થ એ થાય કે, કરાર કરનારા બંને દેશો એકબીજાને ત્યાં કોઈ પણ પ્રકારનાં નિયંત્રણો કે પ્રતિબંધો વિના મુક્ત રીતે વ્યાપાર કરી શકે.
ભારત અને યુકે વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એ પ્રકારનો નથી તેથી તેને શત પ્રતિશત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ના કહી શકાય, પણ આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ઘણી બધી બાબતોને આવરી લેવાઈ છે તેથી આ કરાર ઐતિહાસિક છે. આ કરાર હેઠળ બંને દેશો એકબીજાના માલ પર કસ્ટમ ડયુટી અથવા આયાત ડયુટી ઘટાડશે અથવા નાબૂદ કરશે તેથી ભારતથી યુકે જતો ને યુકેથી ભારત આવતો માલ સસ્તો થશે. માલ સસ્તો થાય એટલે તેની ખપત વધે તેથી બંને દેશોને આર્થિક ફાયદો થશે. આ કરારથી બંને દેશોને કેટલો ફાયદો થયો તેની ખબર તો વરસ પૂરું થાય પછી જ પડે પણ કરાર પર ઉપલક નજર નાંખીએ તો ભારતમાંથી બ્રિટનમાં નિકાસ થતા ચામડા, કાપડ અને જૂતા સહિતનાં ઉત્પાદનો સસ્તાં થશે જ્યારે બ્રિટનથી ભારતમાં આવતી વ્હિસ્કી અને કારની આયાત ડયુટી ઘટાડવામાં આવશે તેથી ભારતમાં આ બ્રિટિશ ઉત્પાદનો સસ્તામાં મળશે.
આ કરાર ફક્ત માલ પૂરતો મર્યાદિત નથી પણ સર્વિસ, સરકાર દ્વારા કરાતી સંરક્ષણ સહિતની ખરીદી, ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ, ઈનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટને પણ આવરી લેવાયા છે તેથી બંને દેશોના પ્રોફેશનલ્સ અને કંપનીઓને પણ ફાયદો થશે. યુકેમાં ભારતની 900 કંપનીઓ કામ કરે છે અને 70 અબજ ડોલરનું યોગદાન યુકેના અર્થતંત્રમાં આપે છે. આ કંપનીઓએ કરવી પડતી કાનૂની પ્રક્રિયાઓ તથા કરવેરા સહિતની બાબતોમાં સરળતા થઈ જશે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના ભાગરૂૂપે ભારત અને બ્રિટન વચ્ચે ડબલ કોન્ટ્રીબ્યુશન ક્ધવેન્શન એગ્રીમેન્ટ (સામાજિક સુરક્ષા કરાર) પણ થવાનો છે. તેના કારણે બ્રિટનમાં કામચલાઉ ધોરણે કામ કરી રહેલા પ્રોફેશનલ્સે ભારત અને બ્રિટનમાં સોશિયલ સીક્યુરિટી માટે અલગ અલગ પ્રીમિયમ નહીં ભરવાં પડે, ભારતમાં આપેલું કોન્ટ્રિબ્યુશન યુકેમાં પણ માન્ય ગણાશે. અત્યારે બંને દેશો વચ્ચેનો વ્યાપાર 24 અબજ ડોલરથી પણ ઓછો છે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે વ્યાપાર રોકેટ ગતિએ વધશે ને પાંચ વર્ષમાં વ્યાપાર વધીને પાંચ ગણો થઈ શકે છે. આ વ્યાપાર ભારતના ફાયદામાં છે એ કહેવાની જરૂૂર નથી કેમ કે ભારતમાં કામદાર આધારિત ઉત્પાદનોને રાહત મળવાની છે તેથી તેમની નિકાસ વધશે.
