અફઘાનિસ્તાનમાં અકસ્માત બાદ પ્રવાસીઓની બસ અગનગોળો બની: 17 બાળકો સહિત 71નાં મોત
અફઘાનિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. અફઘાનિસ્તાનના પશ્ચિમ હેરાત પ્રાંતમાં મંગળવારે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 17 બાળકો સહિત 71 લોકોના મોત થયા છે. કેટલાક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાંતીય સરકારના પ્રવક્તા અહમદુલ્લાહ મુત્તાકીએ જણાવ્યું હતું કે દેશનિકાલ કરાયેલા પ્રવાસીઓને કાબૂલ લઈને જઈ રહેલી એક બસ સાથે એક ટ્રક અને મોટરસાઇકલ ટક્કર થયા બાદ આગ લાગી ગઇ હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બસમાં આગ લાગેલી જોવા મળી રહી છે. પ્રાંતીય અધિકારી મોહમ્મદ યુસુફ સઈદીએ એએફપીને જણાવ્યું હતું કે બસ ઈરાનથી દેશનિકાલ કરાયેલા અફઘાન નાગરિકોને લઈ જઈ રહી હતી, જેઓ ઇસ્લામ કાલા સરહદ પાર કરીને કાબુલ જઈ રહ્યા હતા. બસમાં બધા મુસાફરો સ્થળાંતર કરનારા હતા જેમણે ઇસ્લામ કલાથી પોતાની યાત્રા શરૂૂ કરી હતી.
પ્રાંતીય સરકારના પ્રવક્તા અહમદુલ્લા મુત્તાકીએ જણાવ્યું હતું કે આ અકસ્માત હેરાત શહેરની બહાર ગુજારા જિલ્લામાં બસની વધુ પડતી ગતિ અને બેદરકારીને કારણે થયો હતો. બસ પહેલા એક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી અને પછી ઇંધણ ભરેલી ટ્રક સાથે અથડાયા બાદ આગ લાગી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે બસમાં બધા મુસાફરો પ્રવાસીઓ હતા જેમણે ઇસ્લામ કલા સરહદથી પોતાની યાત્રા શરૂૂ કરી હતી. અકસ્માતમાં ત્રણ મુસાફરો બચી ગયા હતા, જ્યારે ટ્રક અને મોટરસાઇકલ પર સવાર ચાર લોકો પણ મૃતકોમાં હતા.