યુધ્ધ બંધ કરો: અમેરિકી વિદેશમંત્રીએ પાક. લશ્કરી વડા મુનિરને ફોન કર્યો
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી છે. તેમણે મુનીરને ભારત સાથે તણાવ ઓછો કરવા કહ્યું છે. આ પહેલા પાકિસ્તાનની સરહદે આવેલા જમ્મુ, ફિરોઝપુર, સિરસા સહિત ભારતના 26 શહેરોમાં વિસ્ફોટ થયાના અહેવાલો હતા. ગઈકાલે મોડી રાત સુધી પાકિસ્તાન દ્વારા ડ્રોન અને રોકેટ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા હતા. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી સતત પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહી છે. પાકિસ્તાને મોડી રાત્રે ફતહ મિસાઇલનો ઉપયોગ કરીને ભારત પર હુમલો કર્યો, જેને સિરસા નજીક ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યો. રાત્રે પાકિસ્તાન દ્વારા બતાવવામાં આવેલી આ હિંમતનો ભારતીય સેનાએ પણ જવાબ આપ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે પાકિસ્તાનના અનેક એરબેઝને નિશાન બનાવ્યા છે. જોકે, વહેલી સવારે થયેલા અનેક વિસ્ફોટો રહેણાંક વિસ્તારોમાં થયા હોવાના અહેવાલ છે. ગુરુવારે રાત્રે પણ પાકિસ્તાને રોકેટ અને ડ્રોનનો ઉપયોગ કરીને અનેક હુમલા કર્યા હતા.
ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ તે બધાને અટકાવવાનું અને નાશ કરવાનું ચાલુ રાખ્યું.દરમિયાન ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સાથે ફોન પર વાત કરી. અમેરિકાના વિદેશ મંત્રીએ વાટાઘાટોમાં પાકિસ્તાનને મદદ કરવાની ઓફર કરી. અમેરિકાના વિદેશ મંત્રીએ આજે પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર અને નાયબ વડાપ્રધાન ઇશાક ડાર સાથે પણ વાત કરી અને તણાવ ઓછો કરવાની અપીલ કરી.