અમેરિકા-નાટોના પ્રતિબંધો વચ્ચે પુતિન આવશે ભારતની મુલાકાતે
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને વધતા વૈશ્વિક તણાવ અને યુએસ-નાટોના મજબૂત વાંધાઓ છતાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાતે આવવાના છે. તેમની મુલાકાત ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનના સંદર્ભમાં હશે, જે 2021 પછી પહેલી વાર નવી દિલ્હીમાં યોજાશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ અને નાટો દેશો રશિયા પર સતત પ્રતિબંધો વધારી રહ્યા છે અને ભારત પર રશિયન સંરક્ષણ અને ઉર્જા સહયોગ પર પુનર્વિચાર કરવા દબાણ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમિટ દરમિયાન સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ, ઉર્જા ક્ષેત્રમાં ભાગીદારી, પરમાણુ ઉર્જા સહયોગ, આર્કટિક ક્ષેત્રમાં ભારતની ભૂમિકાનું વિસ્તરણ અને હાઇ-ટેક ક્ષેત્રમાં સંયુક્ત રોડમેપ પર કામ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તાજેતરમાં પુતિને ખુલાસો કર્યો હતો કે વડા પ્રધાન મોદીની વિનંતી પર, રશિયાએ ભારતમાં ખાતરની નિકાસમાં વધારો કર્યો છે, જેનાથી ભારતીય ખાદ્ય સુરક્ષા મજબૂત થઈ છે. તે જ સમયે, ભારત અને રશિયા વચ્ચે નવા પરમાણુ પ્લાન્ટના બીજા સ્થાનને અંતિમ સ્વરૂૂપ આપવાની પ્રક્રિયા પણ આ સમિટ દરમિયાન પૂર્ણ થઈ શકે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે કહ્યું કે ભારત-રશિયા સમિટ મહત્વપૂર્ણ છે. ગયા વખતે તે મોસ્કોમાં યોજાઈ હતી, હવે ભારતનો વારો છે. તારીખો પરસ્પર સંમતિથી નક્કી કરવામાં આવશે. જો વડાપ્રધાન મોદી ચીનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જઈઘ) સમિટમાં ભાગ લે છે, તો ત્યાં પણ પુતિન સાથે તેમની અલગ મુલાકાત શક્ય છે.