PM મોદીનો યુરોપિયન દેશોને પ્રવાસ રદ, રાજનાથને પાક.બોર્ડરે દોડાવાયા
ભારતના ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેના દ્વારા કામગીરી કરાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતશાહ સહિત દેશના તમામ રાજનેતાઓએ ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ દિલ્હીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. દરમિયાન, પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને સરહદ પર જઈને પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા કહ્યું છે. આ દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હવે સરહદ માટે રવાના થવાના છે અને થોડા સમય પછી તેઓ ભારત-પાકિસ્તાન સરહદ પર પહોંચશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.
મહત્વનું છે કે 15 દિવસ પહેલા પહલગામમાં બૈસરન ઘાટીમાં પાકિસ્તાને ભાડે રાખેલા આતંકવાદીઓએ પ્રવાસીઓને ઠાર કર્યા હતા. જેમાં મોટાભાગના પુરુષો હતા. આતંકવાદીઓએ ભારતીય મહિલાઓના કપાળ પરથી સિંદૂર લૂછી નાખવામાં આવ્યું હતું, તેનો બદલો ભારતે લીધો અને ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી બાદ ચાલી રહેલા તણાવ વચ્ચે, પીએમ મોદીએ એક મોટો નિર્ણય લીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દેશો - નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડનો પ્રવાસ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. પીએમ મોદી આ 3 યુરોપિયન દેશોમાં ઘણી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો અને બેઠકોમાં ભાગ લેવાના હતા. અત્યાર સુધી પીએમ મોદીના વિદેશ પ્રવાસ રદ કરવાનું કારણ આપવામાં આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટેના મહત્વપૂર્ણ સમયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.