ગાઝાના યુધ્ધવિરામથી પેલેસ્ટાઇન, ઇઝરાયલ અને આરબ જગત ખુશ પણ પાક.ને અપચો
અંતે ઈઝરાયલ અને કટ્ટરવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો. આ યુદ્ધવિરામના ભાગરૂૂપે ઈઝરાયલે ગાઝા પટ્ટી પરના હુમલા બંધ કરીને બોમ્બમારો અટકાવી દીધો છે. સાથે સાથે ઇઝરાયલી જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરવામાં આવ્યા છે. આ યુદ્ધવિરામના પગલે ઇઝરાયલ અને પેલેસ્ટાઈનમાં જશ્નનો માહોલ છે કેમ કે લગભગ બે વર્ષ પછી બંને દેશનાં લોકોએ કોઈ બોમ્બમારો કે હુમલો ના થયો હોય એવો દિવસ જોયો છે.
હમાસે ઓક્ટોબર 2023માં ઈઝરાયલમાં ઘૂસીને 1500ની હત્યા કરી નાખી અને લગભગ 250 ઈઝરાયલીઓને બંદી બનાવ્યા પછી ઈઝરાયલે વળતો પ્રહાર કરીને ગાઝા પટ્ટી પર આક્રમણ કરી નાખેલું. ઈઝરાયલે બે વર્ષ સુધી સતત બોમ્બમારો કરીને ગાઝા પટ્ટીને ખેદાનમેદાન કરી નાખ્યું છે. પેલેસ્ટાઈનમાં ગાઝા પટ્ટી પર હમાસનો કબજો છે. જ્યારે વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (પીએલઓ)ની સરકાર છે. યુદ્ધવિરામના કારણે બંને વિસ્તારોમાં જશ્ન છે કેમ કે ઈઝરાયલે ભલે હમાસને ખતમ કરવા ગાઝા પટ્ટીને ટાર્ગેટ કરેલું પણ લીલા ભેગું સૂકું બળે એમ વેસ્ટ બેંકને પણ અસર થઈ હતી.
ઈઝરાયલ વેસ્ટ બેંકને પણ ધમરોળી નાખશે એ ડરે વેસ્ટ બેંકમાં પણ લોકો ભાગવા માંડેલા તેથી વેસ્ટ બેંકમાં પણ ફફડાટનો માહોલ તો જ. હવે ઈઝરાયલે યુદ્ધવિરામ સ્વીકારીને બોમ્બમારો બંધ કરી દીધો તેથી સૌને શાંતિ છે. ઈઝરાયલ-હમાસના કેસમાં ઈઝરાયલની સંસદે ટ્રમ્પને નોતરીને આભાર માન્યો છે. ટ્રમ્પને ઈઝરાયલની સંસદને સંબોધવાની તક આપી અને ટ્રમ્પને 2026માં નોબલ પીસ પ્રાઈઝ આપવાની ભલામણ પણ કરી.
આ સંબોધનમાં ટ્રમ્પે 8 મહિનામાં 8 યુદ્ધ અટકાવ્યાં હોવાનો દાવો કરી નાખ્યો ને આડકતરી રીતે આવતા વરસના નોબલ પીસ પ્રાઈઝ માટે પણ દાવેદારી કરી નાખી. તહરીક-એ-લબ્બક પાકિસ્તાનનો તો દાવો છે કે, પોલીસ ફાયરિંગમાં તેમના 250થી વધુ કાર્યકરો અને નેતાઓ માર્યા ગયા છે, જ્યારે અને 1,500થી વધુ ઘાયલ થયા છે. તહરીક-એ-લબ્લૈક પાકિસ્તાનના નેતા સાદ હુસૈન: રિઝવીને પણ પોલીસે ઉડાવી દીધા હોવાનું કહેવાય છે. સાદ ગાઝાના સમર્થનમાં અને ઇઝરાયલ વિરોધી અભિયાનના ભાગરૂૂપે લાહોરથી ઇસ્લામાબાદ લાંબી રેલી કાઢવાના હતા પણ પોલીસ રેલી નીકળે એ પહેલાં જ રિઝવીને ઉઠાવવા તેમના ઘરે પહોંચી ગઈ તેમાં પોલીસની ગોળી વાગી જતાં રિઝવી ઉપર પહોંચી ગયાનું કહેવાય છે.
રિઝવીની પાર્ટીએ સ્વીકાર્યું છે કે, રિઝવીને પણ ત્રણ ગોળીઓ વાગી હતી. તેમને નજીકના મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. શાહબાઝ શરીફની સરકાર જે કરી રહી છે એ અત્યાચાર છે પણ તેનો અફસોસ કરવા જેવો નથી. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના કારણે બધાંને શાંતિ છે પણ રિઝવી જેવા નમૂનાઓને પેટમાં દુ:ખ્યું છે કેમ કે તેમની માનસિકતા હળાહળ ઈઝરાયલ વિરોધી છે.