પાક.નો ઇતિહાસ આતંકવાદથી ભરેલો છે, એમાં કોઇ રહસ્ય નથી: બિલાવલ ભુટ્ટો
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના અમેરિકા માટે ગંદા કામ કરવાના નિવેદન પરનો વિવાદ હજુ સમાપ્ત થયો નથી. બિલાવલ ભુટ્ટોએ પણ એ જ સૂર ગાઈને સ્વીકાર્યું છે કે પાકિસ્તાનનો ઇતિહાસ આતંકવાદથી ભરેલો રહ્યો છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ સ્કાય ન્યૂઝ સાથેની મુલાકાતમાં કહ્યું કે જ્યાં સુધી સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના નિવેદનનો સવાલ છે. મને નથી લાગતું કે પાકિસ્તાનનો ઇતિહાસ રહસ્યમય છે. આનાથી પાકિસ્તાનને નુકસાન થયું છે. આપણે દરેક વખતે કટ્ટરવાદનો સામનો કર્યો છે. પરંતુ ભલે આનાથી અમને નુકસાન થયું હોય, પણ અમે તેમાંથી એક બોધપાઠ પણ શીખ્યા છીએ.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદ અને આતંકવાદી ભંડોળને ટેકો આપવાનો લાંબો ઇતિહાસ છે. સ્કાય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે અમે 30 વર્ષથી અમેરિકા માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ. ભારત સાથે સંપૂર્ણ યુદ્ધની વાત કરનારા ખ્વાજા આસિફે કહ્યું હતું કે પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનો અંત આવી ગયો છે. ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે ભૂતકાળમાં લશ્કરના પાકિસ્તાન સાથે કેટલાક સંબંધો મળી આવ્યા છે. જોકે, તેમણે કહ્યું કે હવે આ આતંકવાદી સંગઠનનો અંત આવી ગયો છે. આ સમસ્યાના ઉકેલ માટે અમે આંતરિક સુધારા પણ કર્યા છે.
ભુટ્ટોએ કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનના ઇતિહાસનો સવાલ છે, તે દુર્ભાગ્યપૂર્ણ રહ્યો છે. ગુરુવારે મીરપુર ખાસમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ભુટ્ટોએ કહ્યું હતું કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે અને ઇસ્લામ એક શાંતિપ્રિય ધર્મ છે. આપણે યુદ્ધ નથી ઇચ્છતા પણ જો કોઈ આપણા સિંધુ પર હુમલો કરે તો તેમણે પણ યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. અમે યુદ્ધના નગારા વગાડતા નથી, પણ જો અમને ઉશ્કેરવામાં આવશે, તો પાકિસ્તાનની ગર્જનાથી તમે બહેરા થઈ જશો.