પાકિસ્તાને સતત નવમાં દિવસે LOC પર ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ તેની જ ભાષામાં આપ્યો જવાબ
જમ્મુ અને કાશ્મીરની નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાનની નાપાક હરકતો બંધ થવાનું નામ નથી લઈ રહી. છેલ્લા નવ દિવસથી પાકિસ્તાન ઉશ્કેરણી વિના સતત ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્તાનની સેનાએ ફરી એકવાર કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો.
આ ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ત્રણ દિવસ પહેલા, ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સતત યુદ્ધવિરામ ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં.
પાકિસ્તાન 24 એપ્રિલથી સતત ગોળીબાર કરી રહ્યું છે
મંગળવારે, ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ, જેમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર અને ઘૂસણખોરીની ઘટનાઓ પર ચર્ચા કરવામાં આવી. પાકિસ્તાને 24 એપ્રિલની રાતથી નિયંત્રણ રેખાના વિવિધ વિસ્તારોમાં ગોળીબાર શરૂ કર્યો હતો, જે અત્યાર સુધી સતત ચાલુ છે. તે જ દિવસે, ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની જાહેરાત કરી.
જવાબમાં, પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું, વાઘા બોર્ડર સીલ કરી દીધી અને ભારત સાથેના તમામ વેપાર સંબંધો સ્થગિત કરી દીધા. પાકિસ્તાને ધમકી આપી હતી કે જો ભારત પાકિસ્તાનના ભાગનું પાણી વાળવાનો પ્રયાસ કરશે, તો તેને "યુદ્ધનું કૃત્ય" ગણવામાં આવશે.
નોંધનીય છે કે ફેબ્રુઆરી 2021 માં, ભારત અને પાકિસ્તાનના DGMOએ 2003ની યુદ્ધવિરામ સંધિ ફરીથી લાગુ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ ફરી એકવાર સરહદ પર અશાંતિ અને ભય તરફ ઈશારો કરી રહી છે.