પાક.ઢીલુંઢફ: સંરક્ષણ પ્રધાને હાથ જોડી કહ્યું, ભારત વધુ હુમલા ન કરે તો અમે કંઈ નહીં કરીએ
પહલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતે ઓપરેશન સિંદૂર શરૂૂ કર્યું અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો. આ બાબતે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે ચાલાક દુશ્મને પાકિસ્તાનના પાંચ વિસ્તારો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો છે. ભારતે જે યુદ્ધ લાદવાનો પ્રયાસ કર્યો છે તેનો પાકિસ્તાનને કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે, અને અમે તે જવાબ આપવા જઇ રહ્યા છીએ. બીજી તરફ પાક.ના સંરક્ષણ મંત્રીએ લડ્ડયા વગર શરણે આવતાં જાહેર કર્યું છે કે ભારત હુમલા બંધ કરશે તો અમે કંઈ જ નહીં કરીએ.
આ ઘટનાથી બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે અને પાકિસ્તાને ભારતના આ પગલાનો વિરોધ કર્યો છે અને તેને તેની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે અમે અમારો બચાવ કરીશું. પાકિસ્તાની પ્રદેશ પર ભારતના હુમલા બાદ, એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને કહ્યું કે જો ભારત આગળ કાર્યવાહી નહીં કરે તો અમે પણ કંઈ કરીશું નહીં.
ઉલ્લેખનીય છે કે, ભારતની સૈન્ય કાર્યવાહી બાદ ખ્વાજા આસિફે કહ્યું હતું કે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે ભારતે તેના હવાઈ ક્ષેત્રથી પાકિસ્તાની વિસ્તારોમાં આ હુમલાઓ કર્યા હતા. ખ્વાજા આસિફે એમ પણ કહ્યું હતું કે અમે આનો યોગ્ય જવાબ આપીશું. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનો યોગ્ય જવાબ આપવાનો ઘમંડ થોડા કલાકોમાં જ ગાયબ થઈ ગયો. હવે તેમણે કહેવાનું શરૂૂ કરી દીધું છે કે જ્યાં સુધી ભારત કોઈ અન્ય કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેઓ કંઈ કરશે નહીં.આ દરમિયાન પાકિસ્તાની સેનાના પ્રવક્તાનું એક નિવેદન પણ આવ્યું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ધમકી આપતા કહ્યું કે અમે યોગ્ય સમયે ભારતને જવાબ આપીશું. તેમણે કહ્યું કે અમે ભારતને જવાબ આપીશું, પરંતુ સમય, સ્થળ અને પદ્ધતિ આપણી રહેશે.