હુમલા પાછળ પાક. લશ્કરી વડા-ISIનો હાથ, જમ્મુ-કાશ્મીર સજ્જડ બંધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે થયેલા ભયાનક આતંકી હુમલાને પહેલગામ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ હુમલામાં 28થી વધુ નિર્દોષ પર્યટકો અને સ્થાનિક નાગરિકોનાં મોત થયાં છે, જેમાં ઇઝરાયેલ અને ઇટાલીના વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન આર્મીના ચીફ જનરલ અસીમ મુનીર હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. ભારત સરકારે આ હુમલાને પાકિસ્તાન આર્મી અને તેની ગુપ્તચર એજન્સી ISIની યોજના ગણાવી, કડક કાર્યવાહીની ચીમકી આપી છે.
ભારતીય ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર, આ હુમલો પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈની હિન કક્ષાની યોજનાનો ભાગ છે, જેમાં પ્રતિબંધિત આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉપયોગ કરવામાં આવ્યો. આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટી આર એફ) નામના આતંકી જૂથે લીધી છે, જે લશ્કર-એ-તૈયબાનું જ એક પેટા-જૂથ છે. TRFના નેતા ગુલને આ હુમલાનું આયોજન કર્યું હોવાનું મનાય છે.
આ હુમલો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની તાજેતરની ભડકાઉ ટિપ્પણીઓ અને ટુ-નેશન થિયરીને ફરીથી ઉછાળવાના પ્રયાસો સાથે જોડાયેલો હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર ઘણા યૂઝર્સે આક્ષેપ કર્યો છે કે મુનીરના ભાષણથી આતંકવાદીઓને ઉશ્કેરવામાં આવ્યા, જેનું પરિણામ પહેલગામ હુમલા તરીકે સામે આવ્યું.
પહેલગામ હુમલાના વિરોધમાં બુધવારે જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને સંપૂર્ણ સફળતા મળી છે. પીડીપી નેતા મહેબૂબા મુફ્તી, જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અન્ય સંગઠનોએ આ બંધને સમર્થન આપ્યું છે.
સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ હુમલો પાકિસ્તાનની આંતરિક અને આર્થિક સમસ્યાઓથી ધ્યાન હટાવવા અને કાશ્મીરમાં શાંતિના તાજેતરના તબક્કાને ખલેલ પહોંચાડવાનો પાકિસ્તાનનો પ્રયાસ છે.