21માંથી 9 આતંકી અડ્ડાનો ખાત્મો માત્ર ટ્રેલર, પિકચર હજુ બાકી
જૈશ-એ-મહમદના 4, લશ્કર-એ-તૈયબાના 3 અને હિઝબુલ મુસહિદ્દીનના 2 કેમ્પો પર ભારતીય ફાઈટર વિમાનોએ મિસાઈલો-બોમ્બ વરસાવ્યા
પાકિસ્તાનના રડારમાં આવ્યા વગર 23 મિનિટ સુધી ભારતના ફાઈટર જેટે 150 કિ.મી. સુધી અંદર ઘેરો ઘાલ્યો : આતંકીઓ નિંદરમાં જ નર્કમાં પહોંચ્યા
ભારતના ઈતિહાસમાં 1971 પછી પ્રથમ વખત મોટાપાયે લશ્કરી કવાયત હાથ ધરીને શરહદપાર હુમલો કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતની ભૂમિ પરથી પાકિસ્તાનમાં આતંકવાદીઓના ટ્રેનીંગ સેન્ટર, હાઈડઆઉટ અને આતંકીના આકાઓ પર વજ્રપ્રહાર કરવામાં આવ્યો છે. રાત્રે 1 કલાક અને 4 મીનીટે હાથ ધરાયેલ ઓપરેશનમાં ભારત દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં 9 જેટલા આતંકી અડ્ડાઓ પર મિસાઈલો અને બોમ્બ વર્ષાવવામાં આવ્યા હતાં. અત્યંત સટીક નિશાન સાથે જૈશ-એ-મહમદના ચાર, લશ્કર-એ-તોઈબાના 3 અને હિઝબુલ મુજાહીદ્દીનના બે કેમ્પો પર ભારતીય ફાઈટરોએ ઉડાવી દીધા હતાં.
આજે સવારે 10:30 કલાકે ભારતીય સેના અને વિદેશ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન સિંદુરની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં આ ઓપરેશનને લગતી માહિતી આપવામાં આવી હતી. વિદેશ સચિવ વિક્રમ મીશ્રી વાયુ સેનાના રિંગ કમાન્ડર યુમિકા સીંગ અને આર્મીના કરનલ સોફિયા કુરેશી દ્વારા આ માહિતી આપવામાઁ આવી હતી. જેમાં અલગ અલગ આતંકી અડ્ડાઓના પહેલાના અને હુમલા વખતના વિઝ્યુલ્સ બતાવવામાં આવ્યા હતાં. 23 મીનીટ સુધી પાકિસ્તાનના રડારમાં ડિટેક્ટ થયા વગર ભારતીય વાયુ સેનાના ફાઈટર જેટ ત્રાટક્યા હતાં. પાકિસ્તાનના બહાવલપુર, મુરીદકે, ચાક આમરુ, સીઆલકોટ, ભીમબેર, ગુલપુર, કોટલી અને મુઝફરાબાદમાં આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો કરી દેવામાં આવ્યો છે.
ભારતે અદ્યતન ફાઈટર મિરાજ 2000 અને સુખોઈ 30 જેટ વિમાન દ્વારા હુમલો કર્યાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. પ્રેસ મીટીંગમાં પાકિસ્તાનના 21 આતંકવાદી કેમ્પનો નક્સો જાહેર કરવામાં આવ્યો હતો. જે પૈકી 9 જગ્યાએ હવાઈ માર્ગે હુમલા કરીને આતંકી અડ્ડાઓનો સફાયો કરી દેવામાં આવ્યો છે. ત્યારે હજુ 12 જેટલા આતંકવાદીઓના અડ્ડા પર ગમે ત્યારે કાળ બનીને ભારતીય સેના ત્રાટકશે. તેવુ ડિફેન્સ સાથે સંકડાયેલા સુત્રો જણાવી રહ્યા છે.