નવી આફત: યુરોપમાં ફૂટ એન્ડ માઉથ રોગનો ફેલાવો
હંગેરી-ઓસ્ટ્રિયા અને સ્લોવાકિયામાં મોટાપાયે પશુઓની કતલ, સરહદો બંધ કરાઇ: હંગેરીને જૈવિક હુમલાની શંકા
ગુજરાત મિરર,
યુરોપિયન દેશો હંગેરી, ઑસ્ટ્રિયા અને સ્લોવાકિયામાં આ સમયે અરાજકતાનું વાતાવરણ છે. અહીં એક વાયરસ ફેલાઈ રહ્યો છે. જેના કારણે આ દેશોએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. હંગેરીમાં 50 વર્ષ પછી પગ અને મોંના રોગ (FMD)નો પ્રકોપ સામે આવ્યો છે. જેના કારણે યુરોપમાં ગભરાટ ફેલાયો છે. આ રોગ પ્રાણીઓ દ્વારા ફેલાય છે. આ જ કારણે સાવચેતીના પગલા તરીકે આ પ્રાણીઓને મારી નાખવામાં આવી રહ્યા છે.
આ પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની પણ શંકા છે. હંગેરિયનના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો છે કે વાયરસ કુદરતી ન હોઈ. એવી શક્યતા છે કે તે જૈવિક હુમલા તરીકે ફેલાવાઇ રહ્યું છે. હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બનના ચીફ ઓફ સ્ટાફ ગેર્ગેલી ગુલ્યાસે કહ્યું: હાલના સમયે આપણે એ વાતને નકારી શકતા નથી કે આ વાયરસ કુદરતી નથી. શક્ય છે કે આપણે કૃત્રિમ રીતે બનાવેલા વાયરસનો સામનો કરી રહ્યા છીએ. એવું કહેવામાં આવ્યું હતું કે આ શંકા વિદેશી લેબમાંથી મળેલી મૌખિક માહિતી પર આધારિત હતી. હજુ સુધી તેની સંપૂર્ણ પુષ્ટિ થઈ નથી. વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ કહે છે કે, આ રોગચાળો સૌપ્રથમ માર્ચમાં હંગેરીની ઉત્તરપશ્ચિમ સરહદ નજીકના એક પશુ ફાર્મમાં દેખાયો હતો. ત્યારબાદ દેશભરમાં લગભગ 1,000 ખેતરોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જેમાંથી ચાર નમૂનાઓમાં વાયરસની પુષ્ટિ થઈ.
ડિસેમ્બર 2024 સુધીમાં હંગેરીમાં 8.61 લાખ પશુઓ હતા. જે ઊઞના કુલ પશુઓના સ્ટોકના 1.2% જેટલા છે. હવે આ રોગને ફેલાતો અટકાવવા માટે હજારો પ્રાણીઓની હત્યા કરવામાં આવી છે. આ રોગ સ્લોવાકિયાના દક્ષિણ ભાગમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારબાદ ઓસ્ટ્રિયાએ હંગેરી સાથેના 21 અને સ્લોવાકિયા સાથેના બે બોર્ડર ક્રોસિંગ બંધ કર્યા. સરહદો પર જંતુનાશક સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે.
મહામારીના તોળાતા ખતરા સામે વિશ્ર્વના દેશોને સાવધ કરતા WHOના વડા
વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે વિશ્વને ફરી એક મોટી મહામારીના ખતરા અંગે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, આવી મહામારી કોઈપણ સમયે આવી શકે છે, એટલે કે આવતીકાલે પણ અથવા વીસ વર્ષ બાદ પણ. આ નિવેદનથી વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ટેડ્રોસે વિશ્વ આરોગ્ય સંગઠનની એક બેઠકમાં બોલતાં કહ્યું, આગામી મહામારીનો ખતરો એકદમ વાસ્તવિક છે. આપણે બધાએ આ માટે હવે જ તૈયારી શરૂૂ કરવી જોઈએ. ટેડ્રોસે દેશોને એકબીજા સાથે મળીને આગામી મહામારીનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડવાની સલાહ આપી. તેમણે કહ્યું, આપણે વિશ્વભરની સરકારો સાથે મળીને એક સર્વસમાવેશક કરાર કરવો જોઈએ, જેથી રોગચાળાનો સામનો વધુ સારી રીતે કરી શકાય.