નીટ ફરી નહીં લેવાય, ભ્રષ્ટાચાર સામે આ કેવું ઝીરો ટોલરન્સ?
દેશભરની મેડિકલ કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (ગઊઊઝ) ફરીથી લેવાશે કે નહીં એ સવાલનો જવાબ અંતે મળી ગયો કેમ કે સુપ્રીમ કોર્ટે ફરીથી પરીક્ષાનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે તેનો અંતિમ નિર્ણય અનામત રાખ્યો છે અને આ નિર્ણય જાહેર કરવા માટે કોઈ તારીખ જારી કરવામાં આવી નથી. જો કે તેનો અર્થ નથી કેમ કે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે 24 જુલાઈથી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે.
સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય જાહેર કરશે એ ટેક્નિકાલિટી હશે ને તેના કારણે નીટની પરીક્ષા ફરી લેવાવાની નથી તેથી આ પ્રકરણ પર પડદો પડી ગયો છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચે ચુકાદો આપ્યો છે કે, પેપર લીકના નક્કર પુરાવા વિના અમે ફરી પરીક્ષા અંગે નિર્ણય ન આપી શકીએ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આંચકાજનક છે કેમ કે નીટ પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધીમાં 7 રાજ્યોમાં 53 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ છતાં સુપ્રીમ કોર્ટ એવું કહી રહી છે કે, પુરાવા વિના અમે ફરી પરીક્ષાનો આદેશ ના આપી શકીએ. સવાલ એ છે કે, પેપર લીકના નક્કર પુરાવા નથી તો આટલાં બધાં લોકોને સીબીઆઈ પકડી પકડીને જેલમાં કેમ ધકેલી રહી છે? સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે, અત્યારે અમે ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓને અલગ કરી શકીએ છીએ. તપાસ દરમિયાન ગુનેગારોની ઓળખ થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ વિદ્યાર્થી આ છેતરપિંડીમાં સંડોવાયેલો જણાશે તો તેને પ્રવેશ મળશે નહીં.
મતલબ કે, ગુનો બન્યો છે અને પરીક્ષામાં ગરબડ થઈ છે એ સુપ્રીમ કોર્ટ સ્વીકારે છે પણ છતાં તેને પેપર લીક થઈ ગયું હોવાના પુરાવા દેખાતા નથી. સુપ્રીમ કોર્ટે આ દેશના લાખો તેજસ્વી વિદ્યાર્થીઓને નિરાશ કરી દીધા છે તેમાં કોઈ શંકા નથી. આઘાત તો એ જોઈને લાગે કે, શરૂૂઆતમાં સુપ્રીમ કોર્ટે જ કહેલું કે, પરીક્ષાની પવિત્રતા ભંગ થયાનું લાગશે તો અમને ફરી પરીક્ષા યોજવાનો આદેશ આપતાં જરાય વિચાર નહીં કરીએ.
નીટ પરીક્ષા મુદ્દે મોદી સરકારે લીધેલા વલણે ભ્રષ્ટાચારના મુદ્દે મોદી સરકારના ચાવવાના જુદા ને બતાવવાના જુદા છે તેનો ભાંડો પણ દુનિયા સામે ફોડી દીધો છે. મોદી સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની વાતો કરે છે અને જે પરીક્ષામાં આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો તે પરીક્ષા ફરીથી લેવા માટે તેણે પૂરી તાકાત લગાવી દીધી. ભ્રષ્ટાચારને છાવરવા માટે આ સરકારે પોતાના મંત્રીને મેદાનમાં ઉતારી દીધા ને હજુ સુધી ભ્રષ્ટાચાર કરનારા કોઈ અધિકારી સામે કોઈ પગલાં નથી લીધાં. આ ભ્રષ્ટાચાર સામે ક્યા પ્રકારનું ઝીરો ટોલરન્સ છે?