બરફ પીગળવાથી આવશે પૃથ્વી પર મોટી આફત
કલાઇમેટ ચેન્જના કારણે ગ્રીનલેન્ડમાં દર કલાકે 33 મિલિયન ટન બરફ ઓગળી રહ્યો છે, એથી દરિયાકાંઠે વધુ જોખમ રહેશે
ક્લાઈમેટ ચેન્જને કારણે એક મોટી આફત આવવા જઈ રહી છે. જેમાં ગ્રીનલેન્ડની વિશાળ બરફની ચાદર પર એક ખતરનાક સંકટ પેદા થઈ રહ્યું છે જેનાથી સમગ્ર વિશ્વ માટે ગંભીર સંકટ પેદા થઈ શકે છે. વૈજ્ઞાનિકોના મતે આ બરફ રેકોર્ડ ગતિએ પીગળી રહ્યો છે. એવો અંદાજો છે કે દર કલાકે લગભગ 33 મિલિયન ટન બરફ પીગળી રહ્યો છે. જો વૈશ્વિક તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે તો આ આખી બરફની ચાદર તૂટી શકે છે.
જેના કારણે દરિયાની સપાટી લગભગ સાત મીટર વધી શકે છે. આથી દરિયાકાંઠાના વિસ્તારો પર સૌથી વધુ જોખમ રહેશે અને અસરગ્રસ્ત વિસ્તાર ડૂબી પણ શકે છે. ક્લાઈમેટ ચેન્જ સાથે જોડાયેલ જર્નલ ધ ક્રાયોસ્ફિયરમાં પ્રકાશિત થયેલા એક સ્ટડી અનુસાર, વૈજ્ઞાનિકોએ એક ક્લાઈમેટ મોડેલ વિકસાવ્યું છે. જે વિવિધ તાપમાનની પરિસ્થિતિઓમાં બરફની ચાદર કેવી રીતે પ્રભાવિત થશે તેની આગાહી કરવામાં મદદ કરે છે. સ્ટડી અનુસાર જો દર વર્ષે 230 ગીગાટન બરફ પીગળતો રહે તો ગ્રીનલેન્ડની બરફની ચાદરને કાયમી નુકસાન થઈ શકે છે. આ આંકડો ઔદ્યોગિક ક્રાંતિ પહેલા કરતા ઘણો વધારે છે. જેનાથી 21મી સદીના અંત સુધીમાં બરફની ચાદર સંપૂર્ણ રીતે તૂટી જવાનો ભય વધી ગયો છે.
ગ્રીનલેન્ડ બરફની ચાદર પૃથ્વી પરના બે સ્થાયી બરફની સંરચનામાંની એક છે. બીજી એન્ટાર્કટિકામાં સ્થિત છે. જે લગભગ 17 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે અને પૃથ્વીના કુલ તાજા પાણીના ભંડારનો મોટો હિસ્સો તેમાં સમાયેલ છે. રિપોર્ટ અનુસાર, 1994થી ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાને મળીને બરફની આ ચાદરમાંથી લગભગ 6.9 ટ્રિલિયન ટન બરફ ઓગળી ગયો છે. જેનું મુખ્ય કારણ માનવ પ્રવૃત્તિઓને કારણે ક્લાઈમેટ ચેન્જ છે. પણ નિષ્ણાતોનું એવું માનવું છે કે જો કાર્બન ઉત્સર્જનને તાત્કાલિક ધોરણે કંટ્રોલ કરવામાં આવે તો આ નુકસાનને ધીમું કરી શકાય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમગ્ર વિશ્વમાં બરફની ચાદર ઝડપથી સંકોચાઈ રહી છે. વર્ષ 2000 થી 2019ની વચ્ચે વિશ્વભરના હિમનદીઓ દર વર્ષે સરેરાશ 294 અબજ ટન બરફ ગુમાવી રહી છે. જેના કારણે સમુદ્રોનું લેવલ વધી રહ્યું છે અને મહાસાગરીય ધારાઓનું સંતુલન પણ ખોરવાઈ રહ્યું છે. નિષ્ણાતોનું કહેવુ છે કે જો ટૂંક સમયમાં નક્કર પગલાં ભરવામા નહીં આવે તો આ સમસ્યા પર્યાવરણ તેમજ વૈશ્વિક અર્થતંત્રને પણ અસર કરશે.