યુવાનોના આંદોલન સામે ઝુકી મડાગાસ્કરના પ્રમુખ દેશ છોડી ગયા
નેપાળમાં ઝેન-ઝેડે ઉગ્ર આંદોલન કરી સત્તા પલટાવી નાખી હતી, હવે ટાપુ દેશ મડાગાસ્કરમાં યુવાઓ ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. અઠવાડિયાઓ સુધી ચાલેલા યુવાનોના ઉગ્ર વિરોધ-પ્રદર્શન બાદ ત્યાંના રાષ્ટ્રપ્રમુખ આંદ્રે રાજોએલિના દેશ છોડીને ભાગી ગયા છે.
રેડિયો ફ્રાન્સ ઈન્ટરનેશનલના રિપોર્ટ મુજબ, ફ્રાન્સના રાષ્ટ્ર્પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનની વિનંતી પર રવિવારે એક ફ્રેન્ચ સૈન્ય વિમાને રાષ્ટ્રપ્રમુખ આંદ્રે રાજોએલિનાને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બીજીતરફ મીડિયા રિપોર્ટ મુજબ, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ કાર્યાલય અને વિદેશ મંત્રાલયે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ઉલ્લેખનીય છે કે, મડાગાસ્કરમાં ગયા મહિને પાણી અને વીજળીની અછતના કારણે યુવા પ્રદર્શનકારીઓ રસ્તા ઉપર ઉતરી આવી ઉગ્ર આંદોલન શરૂૂ કર્યું હતું. હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ યુવાનો દેશમાં મૂળભૂત સેવાઓની કમી અને વ્યાપક સરકારી ભ્રષ્ટાચારને લઈને સરકારથી નારાજ હતા. આ પ્રદર્શનો દરમિયાન યુવાનો અને સુરક્ષા દળો વચ્ચે પણ અથડામણો થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયા હતા.