જી-7 સંમેલન વખતે ખાલિસ્તાનીઓના મોદી સામે દેખાવો: પીએમને હાથકડી પહેરાવેલા પોસ્ટરો
કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં આયોજિત જી-7 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાગીદારી પહેલા, સેંકડો ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ કેલગરીમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધીઓ પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અને ખાલિસ્તાન તરફી ધ્વજ લહેરાવતા રસ્તાઓ પર ઉતરી આવ્યા. પીએમ મોદી સોમવારે સાયપ્રસ મુલાકાત પૂર્ણ કર્યા પછી જી-7 સમિટમાં હાજરી આપવા માટે કેનેડા પહોંચ્યા ત્યારે આ વિરોધ પ્રદર્શનો થયા.
16 જૂનના રોજ, કેલગરીના દશમેશ ગુરુદ્વારાથી શરૂૂ થયેલો એક મોટો કાફલો શહેરના રસ્તાઓ પર કૂચ કરી રહ્યો હતો. વિરોધીઓએ પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જેલ જેવા માળખામાં બંધ તેમના પુતળાઓ રાખ્યા હતા. કેટલાક પોસ્ટરોમાં મોદીને હાથકડી પહેરાવેલા અને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે જવાબદાર છે.
આ વિરોધ પ્રદર્શન શીખ ફોર જસ્ટિસ (જઋઉં) નામના ખાલિસ્તાની જૂથ દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા, જે ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યારાઓનું ખુલ્લેઆમ મહિમા કરે છે. તે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા સ્થાપિત એક અમેરિકન સંગઠન છે. અમે જી-7 સમિટમાં મોદીની રાજનીતિનો અંત લાવવા માટે તૈયાર છીએ, પન્નુએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક વિરોધીઓ ભારત અને હિન્દુઓ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા અને ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.
જોકે, પ્રદર્શનકારીઓના ખુલ્લેઆમ ધમકીભર્યા સૂત્રોચ્ચાર અને હિંસક નિવેદનબાજી અંગે કેનેડિયન સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાક પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે તેઓ આગામી 48 કલાક સુધી જી-7 સમિટમાં લાઇવ-સ્ટ્રીમ દ્વારા વિરોધ કરશે. ભારત સરકારે આ વિરોધ પ્રદર્શનોની સખત નિંદા કરી છે.
ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે તેને અસ્વીકાર્ય ગણાવ્યું અને કહ્યું, મોદીના રાજકારણને સમાપ્ત કરવાનો નારા ખરેખર તેમને મારી નાખવાની ધમકી છે, જેને પરાજકારણથ શબ્દ ઉમેરીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નારા સંપૂર્ણપણે વાહિયાત છે. તેમણે કેનેડિયન સરકારને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પ્રદર્શનકારીઓને ભાડે રાખેલા ઘુવડ ગણાવ્યા અને કહ્યું કે આ વિરોધ પ્રદર્શનો પડોશી દેશ (પાકિસ્તાન) તરફથી ભંડોળ દ્વારા કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ આ વિરોધ પ્રદર્શનોમાં બાળકોની સંડોવણી પર ચિંતા વ્યક્ત કરી અને તેને રાજકીય કાર્યસૂચિ માટે બાળકોનો દુરુપયોગ ગણાવ્યો.