15 ઓગસ્ટે અમેરિકામાં ખાલિસ્તાન ફ્રીડમ રેલી યોજાશે, પન્નુએ ઝેર ઓકયું
ખાલિસ્તાની આતંકવાદી સંગઠનના વડા ગુરપતવંતસિંહ પન્નુએ ફરી એકવખત ભારત વિરોધી ઝેર આંક્યું છે. પન્નુએ વીડિયો જાહેર કરીને 15મી ઓગષ્ટે અમેરિકા ખાલિસ્તાન ફ્રીડમ રેલી યોજવાનો પણ દાવો કર્યો છે. ભારતને તબાહ કરી દેવાની ધમકીની સાથે પન્નુએ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની બહાર રેલીની જાહેરાત કરી છે. આ રેલીના બે દિવસ પછી ખાલિસ્તાનના સમર્થનમાં જનમત સંગ્રહ લેવામાં આવશે.
આ વીડિયોમાં પન્નુએ ત્રિરંગો સળગાવવાની ધમકી આપીને કહ્યું કે, તમે પાકિસ્તાન પર હુમલો કર્યો અને એ બચી ગયા અને હવે અમે ભારતને તબાહ કરી નાંખીશું. 3 મિનિટ અને 41 સેક્ધડના વીડિયોમાં પન્નુએ ભારત વિરુદ્ધ ઝેર આંક્યું છે. તેણે કહ્યું છે કે 15મી ઓગષ્ટ શીખ પંથ અને પંજાબની આઝાદીનો દિવસ નથી. 1984ના ગોલ્ડન ટેમ્પલ પરના હુમલા પછી આ ત્રિરંગો શ્રી અકાલ તખ્ત સાહિબ પર ફરકાવવામાં આવ્યો અને એ દિવસે જ લાઈન ખેંચી દીધી હતી. એક તરફ ભારતીય અને હિન્દુવાદી હતા અને બીજા તરફ પંજાબી અને શીખ સમુદાયના લોકો હતા તેમ તેણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પન્નુએ કેટલાક સમય પહેલા ભારતમાંથી ખાલિસ્તાન એટલે કે અલગ દેશ માટે જનમત સંગ્રહ શરુ કરવાની વાત કરી હતી. જ્યારે અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુરોપ સહિત અન્ય દેશોમાં શીખો માટે અલગ દેશની માંગને લઈને ખાલિસ્તાન જનમત સંગ્રહ કરાવવાની વાત કહી હતી.
પન્નુએ કહ્યું કે અમેરિકામાં ભારત સરકારના ઈશારા પર તેની હત્યાની કોશિશ થઈ છે. પંજાબીઓ માટે અલગ દેશની માંગ પર હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી, ત્યાર પછી એ ખાલિસ્તાનની માંગ કરતા રહ્યા છે.