આતંકવાદ પોષવા-પાળવા માટે પાકિસ્તાન પશ્ર્ચિમી દેશોને જવાબદાર ઠેરવે એ હાસ્યાસ્પદ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાને આતંકવાદને પોષ્યો હોવાની કબૂલાત કરી હતી. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ પણ પાકિસ્તાને આતંકવાદને ઉછેર્યો હોવાની કબૂલાત કરી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફે ગયા અઠવાડિયે બ્રિટિશ અખબાર ધ સ્કાયને આપેલા ઈન્ટરવ્યૂમાં આતંકવાદીઓને મદદ કર્યાનું સ્વીકાર્યું હતું. બ્રિટિશ એન્કર યાલ્દા હાકિમે સવાલ કરેલો કે, પાકિસ્તાન આતંકવાદી જૂથોની પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે? આસિફે નિખલાસ કબૂલાત કરીને સ્વીકારેલું કે, પાકિસ્તાન છેલ્લા 30 વર્ષથી આતંકવાદીઓને ટેકો અને તાલીમ આપી રહ્યું છે અને પાકિસ્તાન અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આ ’ગંદાં કામ’ કરી રહ્યું છે.
આસિફે દાવો કરેલો કે, વિશ્વની મહાસત્તાઓએ પાકિસ્તાનનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં જોડાયું ન હોત અને અમેરિકામાં અલ કાયદાએ દ્વારા નાઈન ઈલેવનના હુમલા પછી જે પરિસ્થિતિઓ ઊભી થઈ તે ઊભી ન થઈ હોત તો પાકિસ્તાનનો રેકોર્ડ એકદમ ક્લીન હોત. ખ્વાજા આસિફે એ પણ પણ સ્વીકાર્યું હતું કે આતંકવાદીઓને ટેકો આપવો કે તાલીમ આપવી એ એક મોટી ભૂલ હતી અને અમે તેની સજા ભોગવી રહ્યા છીએ.
હવે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા બિલાવલ ભુટ્ટોએ સ્વીકાર્યું છે કે, પાકિસ્તાને અમેરિકા સહિતના પશ્ચિમી દેશો સાથે મળીને આતંકવાદી સંગઠનોને પ્રોત્સાહન આપ્યું છે. આ પાકિસ્તાનનો ઇતિહાસ છે અને તે કોઈથી છુપાયેલો નથી. તેના કારણે પાકિસ્તાનને પણ નુકસાન થયું છે અને અમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઘણા સુધારા કર્યા છે. આસિફ અને બિલાવલે આતંકવાદ મુદ્દે કરેલી કબૂલાત હાસ્યાસ્પદ છે કેમ કે આ તો ઉઘાડો ઈતિહાસ છે અને આખી દુનિયા જાણે છે. પાકિસ્તાન દુનિયામાં આતંકવાદનું પાલનહાર છે એવું માત્ર ભારત નથી કહેતું પણ દુનિયાના ઘણા દેશો કહે છે.
અફઘાનિસ્તાન અને ભારત જેવા પાકિસ્તાનના પાડોશી દેશો તો આ વાત કરે જ છે પણ અમેરિકા અને બ્રિટન જેવા દેશો પણ આ જ વાત કરે છે. પશ્ચિમનું મીડિયા તો ખુલ્લેઆમ પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ માને છે. તેમના મતે દુનિયામાં આતંકવાદને સૌથી વધારે પોષતો દેશ પાકિસ્તાન છે. પાકિસતાન માટે ‘મોસ્ટ એક્ટિવ સ્પોન્સર ઓફ ટેરરિઝમ’ એવા શબ્દો એ લોકો વાપરે છે. બીજી હાસ્યાસ્પદ વાત એ છે કે, પાકિસ્તાનના શાસકો પોતે કરેલાં કુકર્મો માટે બીજાં પર દોષારોપણ કરી રહ્યા છે.