કેનેડામાં હિન્દુ મંદિરના પ્રમુખના પુત્રના ઘરે અંધાધૂંધ 11 રાઉન્ડ ફાયરિંગ, ખાલિસ્તાની સમર્થકોનો હાથ હોવાની આશંકા
કેનેડામાં ભારત વિરોધી અને હિન્દુ વિરોધી તત્વો બેકાબૂ બન્યા છે. ત્યારે ગઈ કાલે રાત્રે કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં હિંદુ મંદિરના પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 11 રાઉન્ડ ફાયરિંગ કાર્ય હતું. સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના ગઈ કાલે બની હતી.
સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના એક નિવેદન અનુસાર, જે બિઝનેસમેનના ઘરે ગોળીઓ વાગી હતી તે સરેમાં લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારનો મોટો પુત્ર છે. સતીશ કુમારે ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના ઘર પર 11 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી. હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.પરંતુ ઘરને નુકસાન થયું છે. ઘટના બાદ પોલીસ થોડા કલાકો સુધી ઘટનાસ્થળે રહીને પુરાવાઓની તપાસ કરી અને સાક્ષીઓ સાથે વાત કરી હતી.
ખાલિસ્તાન સમર્થકોએ હંગામો મચાવ્યો હતો
ગયા મહિને ખાલિસ્તાન તરફી લોકોએ લક્ષ્મી નારાયણ મંદિરમાં હિન્દુઓને હેરાન કર્યા હતા. વાસ્તવમાં, જ્યારે ભારતીય દૂતાવાસના અધિકારીઓ મંદિરમાં આવ્યા હતા, ત્યારે શીખ ફોર જસ્ટિસના સમર્થકોએ ત્યાં હંગામો મચાવ્યો હતો. ત્યારે મંદિરના વડા સતીશ કુમારે કહ્યું હતું કે ખાલિસ્તાની સમર્થકોની સંખ્યા 25 હતી અને હિંદુ મંદિરમાં 200 લોકો હતા, તેથી હોબાળો શાંત થયો હતો. આ ઘટનાના એક મહિના બાદ સતીશ કુમારના મોટા પુત્રના ઘરે ફાયરિંગ થયું હતું.