ભારત 24થી 36 કલાકમાં ત્રાટકશે; પાક. અડધી રાત્રે ફફડ્યું
પીએમ મોદીએ ભારતીય સેનાને છૂટો દોર આપતા પાકિસ્તાનના વિદેશમંત્રીએ મધરાત્રે પ્રેસ કોન્ફરન્સ યોજી
યુનોને હસ્તક્ષેપ કરવા પાક. વડાપ્રધાનની કાકલૂદી, પહેલગામ હુમલાની તપાસ માટે તટસ્થ કમિશન રચવા તૈયાર
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે સેનાની ત્રણેય પાંખના વડા સહીતનાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી પહેલગામ હુમલાનો બદલો લેવા સેનાને છુટો દોર આપતા પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ ગઇ છે અને અડધી રાત્રે પાક.ના વિદેશમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભારત 36 કલાકમાં હુમલો કરશે તેવી દહેશત વ્યકત કરી હતી અને યુનોને હસ્તક્ષેપ કરવા કાકલુદી કરી હતી. પાક.ના વડાપ્રધાન શાહબાજ શરીફે યુનોના મહામંત્રીનો સંપર્ક કરી હસ્તક્ષેપ માટે વિનંતી કરી છે તેમ પાક.ના માહિતી પ્રસારણ મંત્રીએ જણાવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
આ દરમિયાન તેમણે દાવો કર્યો કે અમને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે. જે દર્શાવે છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી હુમલો કરી શકે છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પીએમ મોદીએ મંગળવારે આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ માટે સશસ્ત્ર દળોને છૂટ આપી હતી.
પાકિસ્તાનના માહિતી મંત્રી તરારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટમાં લખ્યું છે કે પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત પહેલગામ ઘટનાને ખોટા બહાના તરીકે ઉપયોગ કરીને આગામી 24 થી 36 કલાકમાં સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તરારે ચેતવણી આપતા કહ્યું કે કોઈપણ આક્રમક કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન પોતે આતંકવાદનો ભોગ બન્યું છે અને આ કટોકટીના દુ:ખને ખરેખર સમજે છે. અમે હંમેશા દુનિયા સમક્ષ આતંકવાદની નિંદા કરી છે.
તરારે કહ્યું કે પાકિસ્તાને સત્ય બહાર લાવવા માટે નિષ્ણાતોના તટસ્થ કમિશન દ્વારા વિશ્વસનીય, પારદર્શક અને સ્વતંત્ર તપાસની અમે દિલથી ઓફર કરી છે. પાકિસ્તાની મંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને પરિસ્થિતિની ગંભીરતાને સમજવા પણ અપીલ કરી.
LOC પર પાકનો સતત છઠ્ઠા દિવસે ગોળીબાર, ભારતનો જવાબ
પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતની સંભવિત કાર્યવાહીથી ડરી ગયેલું પાકિસ્તાન કાયરતાપૂર્ણ હુમલો કરવાની કોશિશ કરી રહ્યું છે. આજે મોડી રાત્રે ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને એલઓસી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારત દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી, જેનાથી પાડોશી દેશ ડરી ગયો હતો. જમ્મુ અને કાશ્મીરના નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં 29-30 એપ્રિલની રાત્રે પાકિસ્તાન દ્વારા ફરી એકવાર ઉશ્કેરણી વિના યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (એલઓસી) પર નાના હથિયારોથી ગોળીબાર શરૂૂ કર્યો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ અને જોરદાર જવાબ આપ્યો. પાકિસ્તાન સેના દ્વારા અંકુશ રેખાની પાર નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં રાત્રિ દરમિયાન નાના હથિયારોથી ઉશ્કેરણી વિના ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખીને યોગ્ય અને સચોટ જવાબ આપ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC ) પર પાકિસ્તાન અને ભારત વચ્ચે સતત છઠ્ઠી રાતે ગોળીબાર થયો હતો.