પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની તરફેણમાં ભારતનું મતદાન
અમેરિકા, ઇઝરાયેલનો વિરોધ અવગણી ફ્રાંસની દરખાસ્તને સમર્થન: યુએનમાં જંગી બહુમતીથી ઠરાવ પસાર
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પેલેસ્ટાઇનના મુદ્દે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર ભારત સરકારે તેના સમર્થનમાં મત આપીને એક મોટો નિર્ણય લીધો છે. ફ્રાન્સ દ્વારા રજૂ કરવામાં આવેલો આ પ્રસ્તાવ, પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતને ટેકો આપતી ન્યુયોર્ક ઘોષણાને સમર્થન આપે છે. શુક્રવારે UNGAમાં આ પ્રસ્તાવ 142 દેશોના પ્રચંડ બહુમતી સાથે પસાર થયો હતો, જે વૈશ્વિક સ્તરે પેલેસ્ટાઈન માટેના વધતા સમર્થનનો સંકેત છે.
આ પ્રસ્તાવના વિરોધમાં માત્ર 10 દેશોએ મતદાન કર્યું હતું, જેમાં આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયેલ અને અમેરિકાનો સમાવેશ થાય છે. જ્યારે 12 દેશોએ આ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. ભારત તે 142 દેશોમાં સામેલ હતું જેમણે પેલેસ્ટાઇન સમસ્યાના સમાધાન અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતને લાગુ કરવા માટે ન્યુયોર્ક ઘોષણાનું સમર્થન કર્યું.
આ ન્યુયોર્ક ઘોષણાપત્ર મુજબ, ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવા અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતના અસરકારક અમલીકરણના આધારે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘોષણાપત્રમાં આ ક્ષેત્રના ઇઝરાયેલી અને પેલેસ્ટાઈની લોકો માટે એક ન્યાયપૂર્ણ, શાંતિપૂર્ણ અને કાયમી સમાધાન સાથે વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સામૂહિક કાર્યવાહી પર પણ સંમતિ વ્યક્ત કરવામાં આવી છે.
આ પ્રસ્તાવમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભવિષ્યના કોઈપણ શાસનમાં હમાસની ભૂમિકાને નકારવામાં આવે છે, જે હાલમાં ગાઝા પટ્ટીમાં શાસન ચલાવે છે. આ ઘોષણાપત્રમાં ઇઝરાયેલી સરકારને એક સત્તાવાર પેલેસ્ટાઇની રાજ્યની સ્થાપના અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે.
આ મતદાન પર ઇઝરાયેલે તીખી પ્રતિક્રિયા આપી હતી. ઇઝરાયેલે આ પ્રસ્તાવને નસ્ત્રશરમજનકસ્ત્રસ્ત્ર ગણાવ્યો અને કહ્યું કે આવા પ્રસ્તાવો હમાસ જેવા આતંકવાદી સંગઠનોને યુદ્ધ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપે છે.