ભારત-પાકિસ્તાન તણાવ: આજે સલામતી સમિતિની તાકીદની બેઠક
ભારત સાથે વધતા તણાવને લઈને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને તાત્કાલિક બંધ સત્ર બોલાવવા વિનંતી કરી છે. આ બેઠક આજે, 5 મેના રોજ, ન્યૂયોર્કમાં સ્થાનિક સમય અનુસાર બપોરે યોજાશે. પાકિસ્તાને પ્રદેશમાં બગડતી પરિસ્થિતિ અને ભારતના કથિત આક્રમક વલણ અંગે વૈશ્વિક મંચ પર પોતાની ચિંતાઓ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન હાલમાં 15 દેશોની સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે. મે મહિના માટે તેનું નેતૃત્વ ગ્રીસ કરે છે.
પાકિસ્તાનની હરકતોને જોઈને ભારતે પણ કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન અને પાકિસ્તાન સિવાય સુરક્ષા પરિષદના લગભગ તમામ સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી છે. જયશંકરે ગ્રીક વિદેશ પ્રધાન જ્યોર્જ ગેરાપેટ્રિસ સાથે પણ વાત કરી અને કહ્યું કે આપણી વ્યૂહાત્મક ભાગીદારી આતંકવાદ સામેના આપણા સહિયારા અભિગમને પ્રતિબિંબિત કરે છે. ગ્રીસે પણ પહેલગામ હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે અમે આતંકવાદના તમામ સ્વરૂૂપોની નિંદા કરીએ છીએ.
જયશંકરે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, યુકે, દક્ષિણ કોરિયા, ડેનમાર્ક, અલ્જેરિયા, સિએરા લિયોન, ગુયાના, સ્લોવેનિયા, સોમાલિયા અને પનામા સહિત અનેક દેશોના વિદેશ પ્રધાનો સાથે વાત કરી અને કહ્યું કે ગુનેગારો, તેમના સહાયકો અને આયોજકોને ન્યાયના કઠેડામાં લાવવા જરૂૂરી છે. સુરક્ષા પરિષદમાં હાલમાં પાંચ કાયમી સભ્યો છે - અમેરિકા, રશિયા, ફ્રાન્સ, યુકે અને ચીન - જેમની પાસે વીટો પાવર છે. આ ઉપરાંત, 10 અસ્થાયી સભ્ય દેશો છે - પાકિસ્તાન, ગ્રીસ, ડેનમાર્ક, અલ્જેરિયા, ગુયાના, પનામા, દક્ષિણ કોરિયા, સીએરા લિયોન, સ્લોવેનિયા અને સોમાલિયા.
અગાઉ, વિદેશ પ્રધાન ઇશાક ડારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ, રાજદૂત અસીમ ઇફ્તિખારને સુરક્ષા પરિષદની બેઠક બોલાવવા માટે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ભારતના આક્રમક પગલાં, ઉશ્કેરણી જનક અને ભડકાઉ નિવેદનો વિશે જાણ કરશે, વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું.
પાક. સંસદની પણ બેઠક
ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સોમવાર, 5 મેના રોજ રાષ્ટ્રીય સત્ર બોલાવ્યું છે. સાંજે 5 વાગ્યે યોજાનાર આ સત્રમાં ભારત-પાકિસ્તાન સરહદ પરની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા થવાની અપેક્ષા છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વિવિધ પગલાં અમલમાં મૂક્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો અને પાકિસ્તાની નાગરિકો માટે લાંબા ગાળાના વિઝા રદ કરવાનો સમાવેશ થાય છે.