ભારત-પાક. વોર ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે; બન્ને માટે હવે પીછેહઠ સહેલી નથી
ભારતે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા કરેલી લશ્કરી કાર્યવાહી સામે પાકિસ્તાને અપેક્ષા પ્રમાણેનું જ રીએક્શન આપ્યું છે. ભારતે પાકિસ્તાનની આર્મી પર હુમલો નહોતો કર્યો પણ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) અને પંજાબમાં આવેલી આતંકવાદી છાવણીઓ પર હુમલો કરેલો પણ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પાકિસ્તાન આર્મી જ ચલાવે છે તેથી આર્મી તેનો જવાબ આપવા કૂદી પડી છે. એક તરફ જમ્મુ અને કાશ્મીરના પૂંચ સેક્ટરમાં પાકિસ્તાનનો જોરદાર તોપમારો ચાલુ છે તો બીજી તરફ પાકિસ્તાને ભારત પર મિસાઈલ પણ છોડવા માંડયાં છે. ભારતમાં પાકિસ્તાનના દલાલો મારફતે નાનાં નાનાં છમકલાં પણ ચાલુ જ છે તેથી ભારત અત્યારે પાકિસ્તાન સામે ત્રણ મોરચે લડી રહ્યું છે. ભારતે તેની ચિંતા કરવાની જરૂૂર નથી કેમ કે ભારતની સરકાર અને લશ્કર પાકિસ્તાનને પહોંચી વળવા પૂરેપૂરું સક્ષમ છે. ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) જ નહીં પણ છેક પંજાબ પ્રાંત લગી ઘૂસીને આતંકવાદીઓના ભુક્કા બોલાવીને પોતે શું કરી શકે છે તેનો પરચો આપી દીધો છે.
પાકિસ્તાન સામે ફુલ ફ્લેજ્ડ વોર થાય તો પણ ભારત પાકિસ્તાનનો ખાતમો કરવા સક્ષમ છે તેથી પાકિસ્તાન ત્રણ મોરચે આક્રમણ કરે કે પાંચ મોરચે કરે, ભારતીયોને તેનાથી ફરક પડતો નથી પણ આ હુમલા પાકિસ્તાનની હલકી માનસિક્તાનો વધુ એક પુરાવો છે. પાકિસ્તાનને ભારતમાં અશાંતિ ઊભી કરવામાં અને ભારતીયોનાં લોહીથી હાથ રંગવાની વિકૃતિ પોપવામાં મજા આવે છે તેનો આ પુરાવો છે. પાકિસ્તાને આ નીચ માનસિકતા છતી કરીને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી તરત પૂંચમાં તોપમારો શરૂૂ કરી દીધેલો પણ ભારતના હુમલા પછી તોપમારો તીવ્ર બનાવી દીધો છે. પાકિસ્તાન પૂંચ પર તોપમારો કરી રહ્યું છે કારણ કે પૂંચ તેમની રેન્જમાં છે. પૂંચ લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી)થી માંડ 10 કિલોમીટર દૂર છે તેથી પાકિસ્તાન માટે સૌથી નજીકનું ટાર્ગેટ છે તેથી પાકિસ્તાન પૂંચને તબાહ કરવા મચી પડ્યું છે.
ટૂંકમાં ભારત અને પાકિસ્તાન હવે વોર ઝોનમાં પ્રવેશી ચૂક્યાં છે. ઈઝરાયલ વરસોથી તેના પાડોશી દેશોના હુમલાઓનો સામનો કરે છે એવી સ્થિતિ ભારતમાં પણ પેદા થઈ ગઈ છે. ભારત કે પાકિસ્તાન બંનેમાંથી કોઈ એક ઘા ને બે કટકા કરીને ટંટાનો અંત લાવી શકે તેમ નથી કેમ કે બંનેમાંથી કોઈને એ પરવડે તેમ નથી. બીજી તરફ પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈને કે પાકિસ્તાનના શાસકોને પણ ભારત સામેની લડાઈ છોડવી પરવડે તેમ નથી કેમ કે તેમનું અસ્તિત્વ તેના પર જ ટકેલું છે.