ઇઝરાયલ-ઇરાન યુધ્ધ લંબાય તો ભારત પર નકારાત્મક અસર
ક્રૂડ મોંઘું થતાં દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની, ફુગાવો વધવાની, નિકાસ વેપારને ફટકો પડવાની શકયતા
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી શરૂૂ થયેલો સંઘર્ષ ભારત માટે એક મોટી ચેતવણી બની ગયો છે. હાલ પૂરતી આ સંઘર્ષની ભારત પર કોઈ મોટી અસર જોવા મળી નથી, પરંતુ જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે અથવા અન્ય દેશો પણ તેમાં જોડાશે, તો ભારત પર તેની ગંભીર આર્થિક અસરો પડી શકે છે. ભારત સરકાર અને નાણાં મંત્રાલય હાલ પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે, જેથી સમયસર યોગ્ય પગલાં લઈ શકાય.
જો ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો આ યુદ્ધ વધુ ઊંડું થશે, તો ભારતને તેલના ભાવથી સૌથી મોટો આંચકો લાગી શકે છે. ભારત તેની તેલ જરૂૂરિયાતનો લગભગ 85 ટકા વિદેશથી આયાત કરે છે. જો ક્રૂડ ઓઈલ મોંઘુ થશે તો પેટ્રોલ-ડીઝલ, ગેસ અને અન્ય તમામ વસ્તુઓના ભાવ સામાન્ય લોકો માટે આસમાને પહોંચશે. આ ઉપરાંત, જો મધ્ય પૂર્વમાં આવેલી પસ્ટ્રેટ ઓફ હોર્મુઝથ જેવી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ કરવામાં આવે તો તેલના ભાવ પ્રતિ બેરલ 200 થી 300 ડોલર સુધી પહોંચી શકે છે,જે સમગ્ર વિશ્વમાં ઉર્જા સંકટ સર્જી શકે છે. આ કટોકટીનો સામનો કરવા માટે ભારતે તેના વ્યૂહાત્મક તેલ ભંડારને તૈયાર રાખવા પડશે.
તેલ મોંઘુ થવાથી દેશમાં ફુગાવો પણ વધશે, જેના કારણે સરકારનો સબસિડી ખર્ચ વધશે અને સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર પડશે. નિષ્ણાતોના મતે, જો તેલના ભાવ પ્રતિ બેરલ 10 ડોલર વધે છે, તો દેશનો વિકાસ દર 0.3 ટકા જેટલો ઘટી શકે છે. આ આર્થિક વિકાસ પર ગંભીર અસર કરી શકે છે.
ભારતની ઘણી મોટી કંપનીઓ જે પેટ્રોલિયમ અથવા સંબંધિત વસ્તુઓ પર નિર્ભર છે, જેમ કે IOC, BPCL, HPCL, તેમની કમાણી પર નકારાત્મક અસર પડી શકે છે. બીજી તરફ, જે કંપનીઓ પોતે તેલનું ઉત્પાદન કરે છે, તેમની કમાણીમાં વધારો જોવા મળી શકે છે, પરંતુ તે પણ સરકારની નીતિઓ પર નિર્ભર રહેશે. આ ઉપરાંત, વિમાનોમાં વપરાતું બળતણ પણ તેલમાંથી બને છે. જો તેલ મોંઘુ થશે, તો હવાઈ ટિકિટના ભાવ પણ વધી શકે છે. પેઇન્ટ, રસાયણો, ખાતરો અને કાર બનાવતી કંપનીઓને પણ સીધી અસર થશે, જેના કારણે ઘણી અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે.
ભારત ઈરાન અને ઇઝરાયલ બંને સાથે સારો વેપાર સંબંધ ધરાવે છે. જો આ સંઘર્ષ વધુ વકરે છે, તો આ દેશોમાંથી માલ મોકલવા અને પ્રાપ્ત કરવા મુશ્કેલ બની શકે છે. જહાજોના રૂૂટ બદલવા પડી શકે છે, જેનાથી પરિવહન ખર્ચ અને વીમા ખર્ચ પણ વધી શકે છે. ભારત મધ્ય પૂર્વના દેશોમાં ઘણી દવાઓ પણ નિકાસ કરે છે. જો પરિસ્થિતિ વધુ વણસે છે, તો ત્યાંથી દવાઓના ઓર્ડર બંધ થઈ શકે છે. અગાઉ પણ, જ્યારે હમાસ અને ઇઝરાયલ વચ્ચે લડાઈ થઈ હતી, ત્યારે ભારતના કાપડ ઉદ્યોગના ઓર્ડર બંધ થઈ ગયા હતા, જે દર્શાવે છે કે આ ક્ષેત્ર કેટલું સંવેદનશીલ છે.
ભારતની ઘણી કંપનીઓ ઇઝરાયલમાં કાર્યરત
ટીસીએસ, વિપ્રો, અદાણી ગ્રુપ, એસબીઆઈ, સન ફાર્મા અને ઇન્ફોસિસ જેવી ઘણી મોટી ભારતીય કંપનીઓની ઓફિસો ઇઝરાયલમાં કાર્યરત છે. જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તે તેમના કર્મચારીઓ અને વ્યવસાય બંનેને ગંભીર અસર કરી શકે છે. કેટલીક કંપનીઓએ જરૂૂર પડ્યે તેમના કામ ભારતમાં ખસેડવાની યોજનાઓ પણ બનાવવાનું શરૂૂ કરી દીધું છે. આ યુદ્ધ ભારત માટે માત્ર એક ચેતવણી જ નહીં, પરંતુ એક ગંભીર આર્થિક પડકાર પણ ઊભો કરી રહ્યું છે, જેના માટે તાત્કાલિક અને લાંબા ગાળાના આયોજનની જરૂૂર છે.