'કાશ હું પણ માર્યો ગયો હોત..' ઓપરેશન સિંદૂર બાદ મોસ્ટ વોન્ટેડ મસૂદ અઝહરનું નિવેદન વાયરલ
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો પણ માર્યા ગયા છે. પરિવારના સભ્યોના મોત બાદ મસૂદ અઝહરે એક પત્ર જારી કરીને કહ્યું હતું કે , જો હું પણ આ હુમલામાં માર્યો ગયો હોત તો સારું થાત. જૈશ-એ-મોહમ્મદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મૌલાના કશફનો આખો પરિવાર મૌલાના મસૂદ અઝહરની મોટી બહેન સહિત માર્યો ગયો છે. અને મુફ્તી અબ્દુલ રઉફના પૌત્રો, બાજી સાદિયાના પતિ અને તેમની મોટી પુત્રીના ચાર બાળકો ઘાયલ થયા છે.
https://x.com/_Abhhimanyu/status/1920020618516296017
હવાઈ હુમલામાં માર્યા ગયેલા અઝહરના પરિવારના સભ્યો અને નજીકના લોકોને આજે દફનાવવામાં આવશે.
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા લોકોની લિસ્ટમાં મસૂદ અઝહરના ભાઈ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રઉફ અસગરના પુત્ર હુઝૈફા પણ સામેલ છે. માહિતી અનુસાર, રઉફ અસગરના ભાઈની પત્ની પણ મૃત્યુ પામી છે.ભારતીય સેનાએ પાકિસ્તાનના પંજાબ અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પંજાબમાં 4 અને પીઓકેમાં 5 ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો હતો.
મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. મસૂદને ભારત માટે સૌથી ખતરનાક આતંકવાદીઓમાંથી એક માનવામાં આવે છે. મસૂદ અઝહરની 1999માં ઇન્ડિયન એરલાઇન્સના વિમાનને હાઇજેક કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં બંધકોને મુક્ત કરવાના બદલામાં તેને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારથી, તે પાકિસ્તાનમાં છુપાઈને અનેક મોટા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યો છે.