તેરી ગલીઓ મેં ન રખેંગે કદમ: યુએનની સામાન્ય સભા માટે મોદી અમેરિકા નહીં જાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) સત્રમાં હાજરી આપશે નહીં. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ. જયશંકર UNGAમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પીએમ મોદીનો UNGAમાં હાજરી ન આપવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર દંડ લાદ્યો છે, ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને તણાવ વધ્યો છે. એસ. જયશંકર હવે 27 સપ્ટેમ્બરના રોજ યુએનમાં સંબોધન કરશે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ વક્તાઓની યાદીમાં પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. UNGAના 80મા સત્રમાં ઉચ્ચ સ્તરીય સામાન્ય ચર્ચા 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જેમાં પરંપરાગત રીતે બ્રાઝિલ સત્રનું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ અમેરિકા. પીએમ મોદીની સાથે, આ સત્રમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફનું નામ પણ સામેલ હતું.
વક્તાઓની યાદી મુજબ, ભારત 27 સપ્ટેમ્બરની સવારે મહાસભાને સંબોધિત કરશે. આ સત્રમાં, વિદેશ મંત્રી એસ જયશંકર વડાપ્રધાનના સ્થાને ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં વર્ષનું સૌથી વ્યસ્ત રાજદ્વારી સત્ર ગણાતું આ ઉચ્ચ-સ્તરીય સત્ર દર વર્ષે સપ્ટેમ્બરમાં શરૂૂ થાય છે. આ વર્ષે સત્ર ઇઝરાયલ-હમાસ સંઘર્ષ તેમજ યુક્રેન-રશિયા સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે તેને મહત્વપૂર્ણ બનાવે છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક માટે અમેરિકાની મુલાકાત લીધી હતી. મોદી અને ટ્રમ્પે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ના પ્રથમ ભાગ પર વાટાઘાટો કરવાની યોજનાની જાહેરાત કરી હતી તે બેઠક પછી એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જોકે, ટ્રમ્પે ગયા મહિને રશિયન તેલ ખરીદવા માટે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેનાથી કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો હતો.